ભાજપમાં બેઠક દીઠ ર૦ દાવેદારો, કોગ્રેસમાં ૬, જયારે ‘આપ’ને ફાંફાં-ટિકિટ માટે પક્ષમાં ‘પરિવારવાદ’નું આક્રમણઃ નેતાઓના સગા-વ્હાલા મેદાનમાં
(એજન્સી)અમદાવાદ, રાજકીય પક્ષોમાં આગામી ચુંટણીને લઈ ગરમાવો તેજ બન્યો છે. જિલ્લાની બેઠકો પર દાવેદારી નોધવવા માટે નેતાઓની દોડાદોડ વધી છે. પરંતુ આ વખતે સેવા ના નામે પરીવારવાદનું વર્ચસ્વ વધુ જોવામળી રહયું છે.
ટીકીટ વાંછુઓમાં જોવા પતીપત્ની દીકરા સસરા અને કાકા સસરા સુધીના સગાસંબંધીઓને દાવેદારી નોધાવતા પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો વેઈટલટીગમાં મુકાયા છે. જેના લીધે પાયાના કાર્યકરોમા ભારે રોષ જોવા મળી રહયો છે. ટીકીટોની જાહેરાત બાદ મોટી ઉથલપાથલના સંકેત વર્તાઈ રહયા છે. છેલ્લી ઘડીએ ખેલ પાડી માનીતાઓને જીતાડવાના માટે અત્યારથી જ ચોકઠા ગોઠવવામાં આવી રહયા છે.
જીલ્લાની રાજકીય સ્થિતીનું વિશ્લેષણ કરીએ તો ભાજપમાં એક એક બેઠક માટે ર૦-ર૦ દાવેદારોના રાફડો ફાટયો છે. જેની સામે કોગ્રેસમાં સરેરાશ ૬ દાવેદારો જોવા મળી રહયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી આપ માટે સ્થિતી કપરી છે.
કારણ કે મોટાભાગના તાલુકાઓમાં તેમને સક્ષમ ઉમેદવારો શોધતા મુશ્કેલ બની રહયા છે. આપની ટીકીટ પર ચુંટણી લડવા માટેનો બિનજરૂરી ખર્ચ કરવો હાલની સ્થિતીએ ઉમેદવારોને ભારે પડી શકે છે.
ભાજપાં જયારે નિરીક્ષકે સેન્સ લેવા પહોચ્યા ત્યારે કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, જુના જોગીઓને પડતા મુકી નવા અને સક્રીય ઉમેદવારોને તક આપો. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે. કે અત્યારે જે ઉમેદવારો દાવેદારી કરી રહયા છે. તેમાંથી કેટલાક ખરેખર ચુંટણી લડવા માંગતા નથી. તેઓ છેલ્લી ઘડીએ ફોર્મ ખેચીને અથવા મેદાન છોડીને પોતાના માનીતા કે અન્ય પક્ષના ઉમેદવારોને ફાયદો કરાવવા અત્યારથી જ આંતરીક ગોઠવણો કરી રહયા છે.
કોગ્રેસ ભવનમાં પણ દાવેદારોના આંટાફેરા વધ્યા છે. પરંતુ સ્થાનીક નેતાઓ પાસે સીધી સત્તા ન હોવાથી તેઓ પોતાના માનીતાઓમાં ખાતરી આપી શકતા નથી. ટીકીટોની જાહેરાત બાદ જીલ્લાના રાજકારણમાં મોટા પાયે તોડજોડ અને ઉથલપાથલ થવાની પુરેપુરી શકયતા સેવાઈ રહી છે. ઉમેદવારો નકકી થયા બાદ અસંતુષ્ટો કયા પક્ષમાં ભળે છે. તે જોવું રહયું.

