બ્રિજનું સમારકામ પૂર્ણ થતાં બ્રિજ આજથી શરૂ થઈ જશે, બાઇક અને પગપાળા માટે આ બ્રિજનો ઉપયોગ થશે
વડોદરા, બરાબર ૧૦ મહિના પહેલા એટલે કે ૯ જુલાઈ ૨૦૨૫ના રોજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહી નદી પરનો ૪૦ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ મોટી દુર્ઘટનામાં ૨૦ લોકોના મોત થયા હતા.
જે બાદ બ્રિજને બંધ કરીને સમારકામ શરૂ કરી દેવાયું હતું. જોકે હાલ આ બ્રિજનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કે, આવતીકાલથી એટલે કે ૨ એપ્રિલથી આ બ્રિજ પર ફરી એકવાર વાહન વ્યવહાર ખુલ્લો મુકાશે.
દુર્ઘટનાના ૧૦ મહિના બાદ હાલ તો ગંભીરા બ્રિજનું સમારકામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. બ્રિજના તૂટેલા ભાગ પર આશરે ૮૦ ટનનું સ્ટીલનું માળખું ગોઠવીને મજબૂતી આપવામાં આવી છે. જેથી બ્રિજની મજબૂતાઈ અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે ઓવરલોડ ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. ટેસ્ટિંગ માટે ઓવરલોડ ટ્રેક્ટરને બ્રિજ પરથી પસાર કરીને તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી.
હવે સમારકામ પૂર્ણ થતાં આવતીકાલે ૨ એપ્રિલથી બ્રિજ ફરી શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં બાઈક, પગપાળા તેમજ લાઈટ વ્હીકલ માટે બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. જેના કારણે હજારો લોકોને મોટી રાહત મળશે. બ્રિજ શરૂ થતાં જ આણંદ–વડોદરા વચ્ચેનો ટ્રાફિક હળવો બનશે અને દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે. હાલ જે લોકો રોજિંદા ૨૦થી ૪૦ કિલોમીટર વધારાનું અંતર કાપતા હતા, તેઓને હવે સમયસર પહોંચવામાં સહુલિયત મળશે.
નોંધનીય છે કે, દુર્ઘટનાગ્રસ્ત બ્રિજને સમારકામ કરી આવતીકાલથી તેના પર વાહનવ્યવહાર શરૂ થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત અંદાજિત ૨૧૨ કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ જેવો જ નવો આધુનિક બ્રિજ બનાવવાની કામગીરી પણ હાલ શરૂ છે. જે સંપૂર્ણ બની ગયા બાદ તેના પર ફોર-Âવ્હલર, ટ્રક અને ટેમ્પો જેવા ભારે વાહનો પણ અવરજવર થઈ શકશે, ત્યારે હાલ તો ટુ-Âવ્હલર અને રાહદારીઓ માટે આ બ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિકોએ રાહતના શ્વાસ લીધા છે.

