પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના ગાઝા વડા ખલીલ અલ-હૈયાએ રવિવારે પુષ્ટિ કરી હતી કે જૂથનો વરિષ્ઠ કમાન્ડર રાયદ સાદ એક દિવસ પહેલા ઇઝરાયેલના હુમલામાં માર્યો ગયો હતો. ઓક્ટોબરમાં ગાઝા યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યા બાદ હમાસના વરિષ્ઠ નેતાની આ સૌથી મોટી હત્યા છે. આ પહેલા, ઇઝરાયેલી સેનાએ પુષ્ટિ કરી હતી કે તેણે શનિવારે ગાઝા શહેરમાં થયેલા હુમલામાં હમાસના એક વરિષ્ઠ કમાન્ડરને માર્યો હતો.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અને શિન બેટ સુરક્ષા એજન્સીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે હમાસની લશ્કરી પાંખ માટે શસ્ત્રોના ઉત્પાદન અને કામગીરીના વડા રાયદ સાદ માર્યા ગયા છે. ઇઝરાયેલી સૈન્ય અનુસાર, સાદ 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલાના મુખ્ય આયોજકોમાંનો એક હતો અને છેલ્લા બાકી રહેલા ટોચના નેતાઓમાંનો એક હતો.
IDF એ એવો પણ દાવો કર્યો હતો કે તાજેતરના મહિનાઓમાં હમાસ દ્વારા યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘન માટે સાદ સીધો જ જવાબદાર હતો. સૈન્યનો આરોપ છે કે તે યુદ્ધવિરામ દરમિયાન શસ્ત્રોના ઉત્પાદન અને જૂથની ક્ષમતાઓનું પુનર્વસન કરવામાં વ્યસ્ત હતો. બીજી તરફ હમાસે ઈઝરાયલ પર યુએસ પ્રાયોજિત યુદ્ધવિરામને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
હમાસે એક નિવેદનમાં કહ્યું છે કે ગાઝામાં ચાલી રહેલા હુમલા, જેમાં પશ્ચિમ ગાઝા શહેરમાં એક વાહન પરનો હુમલો પણ સામેલ છે, તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હસ્તાક્ષર કરાયેલ યુદ્ધવિરામ કરારનું ઘોર ઉલ્લંઘન છે. જૂથે જણાવ્યું હતું કે નાગરિકો, નેતૃત્વ અને કાર્યકરોને નુકસાન સહિત પેલેસ્ટિનિયન લોકો સામેના તેના અપરાધોના પરિણામો માટે ઇઝરાયેલી સરકાર સંપૂર્ણપણે જવાબદાર છે.
દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે અને સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે શનિવારે ગાઝામાં ઇઝરાયેલી દળોને ઇજા પહોંચાડનાર હમાસના વિસ્ફોટક ઉપકરણના વિસ્ફોટના જવાબમાં સાદની હત્યાનો વ્યક્તિગત આદેશ આપ્યો હતો. આ પહેલા શનિવારે ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે દક્ષિણ ગાઝામાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતાં બે સૈનિકો સહેજ ઘાયલ થયા હતા.

