સુપ્રિમ કોર્ટે લગભગ એક વર્ષ પહેલા પેન્ડિંગ ફોજદારી કેસોના નિકાલનો માર્ગ મોકળો કર્યો હોવા છતાં હજુ સુધી કોઈપણ હાઈકોર્ટમાં એડહોક જજની નિમણૂક કરવામાં આવી નથી. કારણ કે, હાઈકોર્ટે આ દિશામાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર, 25 હાઈકોર્ટમાંથી કોઈએ એડ-હોક જજ તરીકે નિમણૂક માટે નામોની ભલામણ કરી નથી.
18 લાખથી વધુ ફોજદારી કેસ પેન્ડિંગ હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરી, 2025ના રોજ હાઈકોર્ટને એડ-હોક જજોની નિમણૂક કરવાની મંજૂરી આપી હતી. જેની સંખ્યા કોર્ટની કુલ મંજૂર સંખ્યાના 10 ટકાથી વધુ ન હોવી જોઈએ. કેન્દ્રીય કાયદા મંત્રાલયને, જો કે, એડ-હોક ધોરણે નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક કરવા માટે કોઈપણ હાઈકોર્ટના કોલેજિયમ તરફથી હજુ સુધી કોઈ ભલામણ પ્રાપ્ત થઈ નથી.
બંધારણની કલમ 224A ઉચ્ચ અદાલતોમાં પેન્ડિંગ કેસોના સંચાલનમાં મદદ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશોને એડ-હોક ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. નિર્ધારિત પ્રક્રિયા મુજબ, સંબંધિત હાઈકોર્ટના કોલેજિયમ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવા માટેના ઉમેદવારોના નામ અથવા ભલામણો ન્યાય વિભાગ, કાયદા મંત્રાલયને મોકલે છે. વિભાગ પછી ઉમેદવારો વિશે માહિતી અને વિગતો ઉમેરે છે અને પછી તેમને સુપ્રીમ કોર્ટ કોલેજિયમને મોકલે છે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ પછી અંતિમ નિર્ણય લે છે અને સરકારને ભલામણ કરે છે કે તે પસંદ કરાયેલ વ્યક્તિઓને જજ તરીકે નિયુક્ત કરે. રાષ્ટ્રપતિ નવા નિયુક્ત જજના ‘નિમણૂક પત્ર’ પર હસ્તાક્ષર કરે છે.
એડ-હોક ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા કાયમી ન્યાયાધીશોની જેમ જ રહેશે, સિવાય કે રાષ્ટ્રપતિ નિમણૂક પત્ર પર હસ્તાક્ષર કરશે નહીં. એડ-હોક જજોની નિમણૂક માટે રાષ્ટ્રપતિની સંમતિ મેળવવામાં આવશે. અધિકારીઓએ ધ્યાન દોર્યું હતું કે એક કેસને છોડીને, નિવૃત્ત ન્યાયાધીશોને એડ-હોક હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક કરવાનો કોઈ દાખલો નથી. સુપ્રીમ કોર્ટે 20 એપ્રિલ 2021ના રોજ હાઈકોર્ટમાં એડ-હોક જજોની નિમણૂક પર આપેલા નિર્ણયમાં કેટલીક શરતો લાદી હતી. જોકે, બાદમાં તત્કાલિન ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર. ગવઈ (અન્ય ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ) અને સૂર્યકાંત (વર્તમાન મુખ્ય ન્યાયાધીશ)ની બનેલી વિશેષ બેન્ચે કેટલીક શરતો હળવી કરી હતી અને અન્યને સ્થગિત કરી હતી.
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એસએ બોબડે દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં પેન્ડિંગ કેસો નિવારવા માટે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની એડ-હોક જજ તરીકે બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

