ઈઝરાયેલ અને અમેરિકાએ શનિવારે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ઘણા લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. હુમલા પછી તરત જ, ઈરાને પણ ઓછામાં ઓછા આઠ દેશોને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી જ્યાં અમેરિકન સૈન્ય મથકો આવેલા છે. ઈરાને બહેરીન, કતાર, ઈઝરાયેલ, દુબઈ સહિત અનેક ટાર્ગેટ પર ઝડપી હવાઈ હુમલા કર્યા. આ પછી, ઈરાને સાંજે ફરીથી મિસાઈલ હુમલાની નવી લહેર શરૂ કરી અને તબાહી મચાવી દીધી. આ હુમલાઓ પછી ઈરાને કહ્યું છે કે જે મિસાઈલો છોડવામાં આવી હતી તે સ્ક્રેપ મિસાઈલ હતી અને વાસ્તવિક અને ખતરનાક હથિયારો ટૂંક સમયમાં બતાવવામાં આવશે.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર જબારીએ કહ્યું કે તેહરાને માત્ર તેની સ્ક્રેપ મિસાઈલ જ નથી છોડી, પરંતુ તે ટૂંક સમયમાં અદ્રશ્ય અને ખતરનાક હથિયારો પણ જાહેર કરશે. તે જ સમયે, ઇઝરાયેલ અને અમેરિકન હુમલામાં ઇરાનને ભારે નુકસાન થયું છે. ઈરાનના સંરક્ષણ પ્રધાન અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર મોહમ્મદ પાકપુર માર્યા ગયા છે. રોયટર્સ ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. આ હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે અને તણાવ ચરમ પર છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં શાસન પરિવર્તનની હાકલ કરી છે, જ્યારે ઈરાને તેમ કરવાનો ઈન્કાર કરી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્રમ્પને સત્તા પરિવર્તન અંગેના તેમના સંદેશ પર કહ્યું, “આ મિશન ઇમ્પોસિબલ છે.” જો કે, તેમણે કહ્યું કે તેઓ તણાવ ઘટાડવામાં રસ ધરાવે છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ વાતચીત થઈ નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પહેલા હુમલાઓ બંધ થવો જોઈએ, પછી જ વાતચીત પર વિચાર કરી શકાય.

