T-20 વર્લ્ડ કપ 2026ના આયોજન પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં મોટું સંકટ ઊભું થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનું આગામી ટુર્નામેન્ટમાંથી બહાર થવું હવે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ ખાલીપો ભરવા માટે ICCએ સ્કોટલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે અને તેમને વર્લ્ડ કપ રમવા માટે તૈયાર રહેવા કહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદનું મૂળ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા ભારતમાં મેચ રમવાનો ઇનકાર છે. ટૂર્નામેન્ટના નિયમો મુજબ બાંગ્લાદેશની ગ્રુપ સ્ટેજની મેચો કોલકાતા અને મુંબઈમાં રમાવાની હતી. જો કે, બાંગ્લાદેશ સરકારના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં તેમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ છે, જેના કારણે ટીમ ભારત નહીં જાય. બીસીબીએ સ્થળ બદલવાની માંગ કરી હતી, જેને આઈસીસીએ નકારી કાઢી હતી.
તાજેતરમાં જ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના વિરોધમાં BCCIએ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને IPL રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મુસ્તાફિઝુરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને BCCIની સૂચના પર છોડી દેવામાં આવ્યો હતો. બીસીસીઆઈના આ પગલાથી ગુસ્સે થઈને બાંગ્લાદેશની યુનુસ સરકારે તેના દેશમાં આઈપીએલના પ્રસારણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો અને બાદમાં સ્થળ બદલવાની માંગ વધુ ઉગ્ર બની હતી.
ગઈ કાલે ગુરુવારે, આઈસીસીએ અંતિમ નિર્ણય લેવા માટે બાંગ્લાદેશ બોર્ડને 24 કલાકની સમયમર્યાદા આપી હતી, પરંતુ નિર્ધારિત સમયની અંદર તેમના તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો ન હતો. બીસીબીએ આ મામલો ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી (ડીઆરસી)માં પણ ઉઠાવ્યો હતો, પરંતુ ત્યાં પણ તેમને રાહત મળવાની આશા નથી કારણ કે આ મામલો સમિતિના અધિકારક્ષેત્રની બહાર છે. હવે બોર્ડ માટે છેલ્લો કાનૂની વિકલ્પ ‘કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ’ (CAS) છે. જોકે પાકિસ્તાને આઈસીસીની બેઠકમાં બાંગ્લાદેશનું સમર્થન કર્યું હતું, પરંતુ તેણે પોતે ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની વાત કરી નથી. હવે 7મી ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં સ્કોટલેન્ડની ભાગીદારીની શક્યતાઓ પ્રબળ બની છે.

