બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત આવવાનો સતત ઇનકાર કરી રહી છે. બોર્ડે આ માટે ઘણી વખત ICCને પત્ર પણ લખ્યો છે. જો કે, હવે બાંગ્લાદેશ માટે મુશ્કેલીઓ વધી રહી છે કારણ કે આઈસીસીએ આગામી વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાનું મન બનાવી લીધું છે. મેચને શ્રીલંકામાં શિફ્ટ કરવાની બાંગ્લાદેશની માંગને બુધવારે ICC બોર્ડની બેઠકમાં ફગાવી દેવામાં આવી છે અને હવે ICC દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ભારતમાં રમવું કે નહીં તે અંગેના નિર્ણયની જાણ કરવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જો બાંગ્લાદેશ ઇનકાર કરે છે, તો તેમની ટીમને આગામી T20 વર્લ્ડ કપના ગ્રુપ Cમાંથી હટાવી દેવામાં આવશે અને તેના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવશે.
બાંગ્લાદેશે બીસીસીઆઈના નિર્દેશો બાદ ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાનને આઈપીએલમાંથી બાકાત રાખવાને ધ્યાનમાં રાખીને સુરક્ષા કારણોસર ભારતીય ટીમને મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો તંગ છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, બુધવારે યોજાયેલી ICC બોર્ડની બેઠકમાં બાંગ્લાદેશની ભાગીદારી પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના મોટાભાગના અધિકારીઓ બાંગ્લાદેશને બાકાત રાખવાના પક્ષમાં હતા. ICC બોર્ડે નિર્ણય લીધો છે કે જો બાંગ્લાદેશની ટીમને ભારતમાં રમવું છે તો તે ટૂર્નામેન્ટમાં રહી શકે છે અન્યથા વર્લ્ડ કપમાં તેમની જગ્યાએ અન્ય ટીમોને સામેલ કરવામાં આવશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો બાંગ્લાદેશ રમવાનો ઇનકાર કરશે તો આગામી T20 વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડની પસંદગી કરવામાં આવશે.

