પાકિસ્તાને આગામી T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. આ નિવેદન સામે આવતા જ ચારે બાજુથી પ્રતિક્રિયાઓ આવવા લાગી. ભારત અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો આ મુદ્દે સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે, પરંતુ BCCIએ અત્યાર સુધી મૌન જાળવ્યું છે. આ મુદ્દે BCCI તરફથી હજુ સુધી એક પણ નિવેદન બહાર આવ્યું નથી. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું છે કે બીસીસીઆઈ આ મુદ્દે ક્યારે ટિપ્પણી કરશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની બહુપ્રતીક્ષિત મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ તટસ્થ સ્થળ પર રમાઈ રહી હોવા છતાં પાકિસ્તાને આ મેચ રમવાનો ઈન્કાર કરી દીધો છે. પાકિસ્તાને આ મેચ ન રમવાનું કારણ બાંગ્લાદેશને પોતાનું સમર્થન દર્શાવવાનું છે.
તમને જણાવી દઈએ કે, આઈસીસીએ બાંગ્લાદેશને હટાવીને સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કર્યું છે. સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશ ભારતમાં કોઈ મેચ રમવા માંગતું ન હતું, ICCના ખુલાસા છતાં બાંગ્લાદેશ અડગ રહ્યું ત્યારે ICCએ તેમને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. હવે પાકિસ્તાન ICCના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી રહ્યું છે.

