ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતીય નૌકાદળની દરિયાઈ સંચાર ક્ષમતાઓને અભૂતપૂર્વ તાકાત આપવાની તૈયારી કરી રહ્યું છે. 2 નવેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી CMS-03 (GSAT-7R) ઉપગ્રહના પ્રક્ષેપણ સાથે, નૌકાદળને વાસ્તવિક સમયના સંચાર, દેખરેખ અને વ્યૂહાત્મક નિયંત્રણમાં ક્રાંતિકારી પરિવર્તનનો લાભ મળશે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ હશે, જે દરિયાઈ વિસ્તારોની સુરક્ષાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
“ભારતનું LVM3 લોન્ચ વ્હીકલ 2 નવેમ્બર, 2025 ના રોજ તેની પાંચમી ફ્લાઇટ (LVM3-M5) માં CMS-03 કમ્યુનિકેશન સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકવા જઈ રહ્યું છે,” ISROએ એક નિવેદનમાં જણાવ્યું હતું. અવકાશ એજન્સીના જણાવ્યા અનુસાર, CMS-03 એ એક મલ્ટી-બેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટ છે જે ભારતીય ભૂમિ સહિત વિશાળ દરિયાઇ વિસ્તાર પર સેવાઓ પ્રદાન કરવા માટે રચાયેલ છે. અંદાજે 4,400 કિગ્રા વજન ધરાવતો આ ઉપગ્રહ ભારતની ધરતી પરથી જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં લોન્ચ થનારો સૌથી ભારે સંચાર ઉપગ્રહ હશે.
ISROએ જણાવ્યું હતું કે, “ચંદ્રયાન-3 એ LVM3 ની અગાઉની ફ્લાઇટથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક તેના રોવરને સફળતાપૂર્વક લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો હતો.” સ્પેસ એજન્સીએ કહ્યું કે લોન્ચ વ્હીકલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે અને તેની સાથે સેટેલાઈટ પણ જોડવામાં આવ્યો છે. તેને 26 ઓક્ટોબરના રોજ અંતિમ પ્રી-લોન્ચ તપાસ માટે લોન્ચ પેડ પર લઈ જવામાં આવ્યું હતું.
નેવીને શું ફાયદો?
CMS-03 નેવી માટે વરદાન સાબિત થશે. આ ઉપગ્રહ નૌકાદળની કામગીરી, હવાઈ સંરક્ષણ અને વ્યૂહાત્મક કમાન્ડ કંટ્રોલ માટે રિયલ ટાઈમ સંચાર સુનિશ્ચિત કરશે. દરિયાઈ દેખરેખ, જાસૂસી, નેવિગેશન અને હવામાન દેખરેખ જેવી સુવિધાઓ ભારતના દરિયાઈ હિતોના સંરક્ષણને મજબૂત બનાવશે. નિષ્ણાતોના મતે, આ ઉપગ્રહ દૂરના વિસ્તારોમાં ડિજિટલ પહોંચ વધારશે, જેનાથી નાગરિક એજન્સીઓને પણ ફાયદો થશે.
(ઇનપુટ એજન્સી)

