હજુ ત્રણ દિવસ માવઠુ થવાનો અણસાર, આકાશ વાદળોથી ઘેરાયું
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં અત્યારે અનેક લોકો બે ઋતુને કારણે બિમારીમાં સપડાઈ રહયા છે ત્યારે છેલ્લા ચારેક દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના અનેક ઠેકાણે વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું છે
ત્યારે માવઠાની દહેશતને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડુતોએ ઝડપથી શિયાળુ પાક તરીકે ઓળખાતા ઘઉં, બટાકા, તમાકુ અને વરીયાળી સહિતના પાકોની કાપણી અને લણણી કરીને ઘરભેગા થઈ ગયા છે. જેથી જિલ્લામાં શિયાળુ પાકની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે દરમ્યાન બુધવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો ઉંચકાયો હતો. જેથી લોકોએ ઉનાળાની ગરમીનો અહેસાસ કર્યો છે.
હવામાન વિભાગના જણાવાયા મુજબ ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં તા.રથી પ એપ્રિલ દરમ્યાન માવઠુ થવાની દહેશત વ્યક્ત કરાઈ હોવાને કારણે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડુત વર્ગે રાત દિવસની પરવા કર્યા વિના ખેતરોમાં રહેલો પાક ઝડપથી ઘરભેગો કરવા માટે શ્રમિકો તથા પરિવારના સભ્યો સાથે ખેતરોમાં જઈને માવઠાથી પાકને બચાવવા માટે મહેનત કરી ઘરભેગો કરી દીધો છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વિવિધ પાકોનું ઘાસ ખેતરમાં પડી રહયું છે.
જો આગામી ત્રણ દિવસ સાબરકાંઠામાં માવઠુ થાય તો ઘાસ સિવાય અન્ય કોઈ પાકને નુકશાન થવાની શકયતા ખુબજ ઓછી છે. ખેતીવાડી વિભાગના જણાવાયા મુજબ જિલ્લામાં આ વર્ષે ઘઉં, વરીયાળી, બટાકા, ચણા સહિત અન્ય કઠોળ પાકોનું અંદાજે ૭૦ હજાર હેકટરથી વધુ જમીનમાં વાવેતર થયું હતું પરંતુ હવે ખેડુતોએ શિયાળુ પાકનું કામ આટોપી લીધુ છે. જેથી માવઠુ થાય તો પણ નુકશાન થવાની શકયતા ખુબજ ઓછી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જે ખેડુતોએ ઘઉંની વિવિધ જાતોનું વાવેતર કર્યું હતું પરંતુ વાતાવરણ માફક ન આવતાં તથા ખાસ કરીને ઘઉંમાં ઈયળનો ઉપદ્રવ વધુ રહયો હોવાને કારણે ખેડુતોને સંતોષકારક ઉત્પાદન મળ્યું નથી એટલુ જ નહીં પણ સરકારે ઘઉંના ટેકાના ભાવ જાહેર કર્યા છે તેના કરતાં નીચા ભાવે બજારમાં ખેડુતો ઘઉં વેચવા માટે મજબુર બન્યા છે. જેના લીધે ખેડુતોની હાલત ખુબજ કફોડી બની ગઈ છે.

