કાવેરી નદીમાંથી પાણી છોડવાનો વિવાદ સતત વધી રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે ખાસ ઈમરજન્સી બેઠક બોલાવી છે. વાસ્તવમાં, કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWRC) દ્વારા તમિલનાડુને આગામી 15 દિવસ સુધી દરરોજ 5,000 ક્યુસેક પાણી છોડવાની ભલામણ કર્યાના એક દિવસ બાદ જ આ કટોકટી બેઠક યોજવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, કાવેરી બેસિન ક્ષેત્રના મંત્રીઓ, તમામ પક્ષોના પૂર્વ મુખ્યમંત્રીઓ, રાજ્ય કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સભ્યો આ બેઠકમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે વિશેષ ઇમરજન્સી બેઠક આજે બપોરે 12.30 કલાકે વિધાનસૌધાના કોન્ફરન્સ રૂમમાં યોજાશે.
અગાઉ મંગળવારે, સિદ્ધારમૈયાએ CWRCની ભલામણને ધ્યાનમાં રાખીને આગામી પગલાં અંગે ચર્ચા કરવા માટે કટોકટી બેઠક યોજી હતી. તેમાં શિવકુમાર, મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના કાયદાકીય સલાહકાર પોન્નાના સહિત ઘણા વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓએ હાજરી આપી હતી.
CWRCની ભલામણ બહાર આવ્યા પછી, શિવકુમારે કહ્યું કે રાજ્ય કાવેરી નદીનું પાણી તમિલનાડુને છોડવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું કે આ વખતે નદીના તટ વિસ્તારમાં ઓછો વરસાદ થયો છે, જેના કારણે પાણીનો પૂરતો સંગ્રહ નથી.
તેમણે બેઠક પહેલા કહ્યું હતું કે બુધવારે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવી શકે છે. રાજ્ય પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા તૈયાર છે.