(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગરના મહેતાપુરા, બ્રહ્માણીનગર, પરબડા સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં સોમવારે બપોરના સુમારે ગૃહિણીઓ બપોરનું ભોજન બનાવતી હતી ત્યારે અચાનક ઓનલાઈન ગેસનો પુરવઠો બંધ થઈ ગયો હતો જેથી ગૃહિણીઓએ થોડોક સમય રાહ જોઈ હતી
પરંતુ ફરીથી રાંધણગેસનો સપ્લાય શરૂ ન થતાં અને બપોરના ભોજનનો ટાઈમ થઈ જતાં ન છુટકે અનેક પરિવારોએ બહારથી ભોજન મંગાવવાનો વખત આવ્યો હતો. ઓનલાઇન ગેસ કંપનીની લાપરવાહીના કારણે સતત ચાર કલાકથી વધુ સમય પુરવઠો બંધ રહયો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં સાબરમતી ગેસ દ્વારા પાઈપ લાઈનથી રાંધણગેસનો પુરવઠો નિયમીત રીતે પુરો પાડવામાં આવે છે
ત્યારે સોમવારે બપોરના સુમારે જયારે મહેતાપુરા,બ્રહ્માણીનગર, પરબડા સહિત અન્ય વિસ્તારોમાં ગૃહિણીઓ રસોડામાં બપોરનું ભોજન બનાવી રહયા હતા ત્યારે અચાનક રાંધણગેસ બંધ થઈ ગયો હતો શરૂઆતમાં ગૃહિણીઓએ ધીરજ રાખી હતી. પરંતુ કલાક પછી પણ ઓનલાઈન ગેસનો પુરવઠો શરૂ થયો ન હતો તો બીજી તરફ અનેક પરિવારોમાં બપોરના ભોજનનો ટાઈપ પણ થઈ ગયો હતો.
આ સમસ્યા અંગે કેટલીક ગૃહિણીઓનું કહેવું છે કે રસોડામાં દાળ બાફીને તૈયાર હતી, ભાત તૈયાર હતો, શાકભાજીનો વઘાર બાકી હતી, રોટલી બનાવવા માટે લોટ બાંધી દેવામાં આવ્યો હતો બપોરના ભોજનનો સમય થતાં નાના બાળકો અને વડીલો ભોજનની રાહ જોઈ રહયા હતા પરંતુ ગેસનો પુરવઠો બંધ હોવાને કારણે ગૃહિણીઓને પરાણે બહારની હોટલો અથવા તો અન્ય સ્થળેથી ભોજન મંગાવવાની નોબત આવી હતી
જોકે બપોર ત્રણ વાગ્યા પછી પુરવઠો રાબેતા મુજબનો થઈ ગયો હતો. એક અંદાજ મુજબ ઓનલાઈન ગેસ પુરવઠો બંધ હોવાને કારણે લગભગ ૧પ૦૦થી વધુ ગેસ ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પુરવઠો બંધ હોવાથી અનેક ગ્રાહકોએ ગેસ કંપનીની કચેરીનો સંપર્ક કર્યો હતો જયાં એવો જવાબ મળ્યો હતો કે લાઈનમાં લીકેજ હોવાને કારણે પુરવઠો બંધ કરાયો છે તેવો ટૂંકા જવાબ અપાતો હતો.

