ભારત અને નેપાળ વચ્ચેના આર્થિક સંબંધોને મજબૂત બનાવતા એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. નેપાળી કેબિનેટે સોમવારે યોજાયેલી તેની બેઠકમાં રૂ. 200 અને રૂ. 500ની ભારતીય નોટો પર લાંબા સમયથી લાગેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા વિદેશી વિનિમય વ્યવસ્થાપન નિયમોમાં તાજેતરના સુધારા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તા અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી જગદીશ ખારેલે જણાવ્યું હતું કે હવે આ નોટોની આયાત-નિકાસને બંને દેશો વચ્ચે મંજૂરી આપવામાં આવશે, જોકે વ્યક્તિ દીઠ મહત્તમ મર્યાદા અકબંધ રહેશે.
આ દરમિયાન ખારેલે સ્પષ્ટતા કરી હતી કે નેપાળી અથવા ભારતીય નાગરિકો માટે ભારતથી નેપાળમાં વ્યક્તિદીઠ 25,000 રૂપિયા લાવવા અને એટલી જ રકમ નેપાળથી ભારત પરત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા મોટી ભારતીય ચલણી નોટો પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ 9 નવેમ્બર, 2016 પછી જારી કરાયેલી નોટો ચલણમાં મૂકી શકાય છે. ભારતે 2016માં ઉચ્ચ મૂલ્યની નોટોને ડિમોનેટાઇઝ કરી હતી, ત્યારબાદ નેપાળમાં આવી નોટોની આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અગાઉ, ભારતીય રિઝર્વ બેંકે નેપાળમાં મોટી ભારતીય નોટોની આયાત-નિકાસની મંજૂરી આપવાની વ્યવસ્થા કરી હતી. ભારતે પ્રતિબંધો હળવા કર્યા બાદ નેપાળ સરકારે પણ તેના પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. આરબીઆઈએ નેપાળ અને ભારત વચ્ચે મોટી ભારતીય ચલણી નોટોની આયાત-નિકાસને મંજૂરી આપવા માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ, 2015માં સુધારો કર્યો હતો. હવે નેપાળ સરકારે બંને દેશો વચ્ચે ખુલ્લી સરહદ અને નેપાળની ભારત પરની વેપાર નિર્ભરતાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ હટાવી લીધો છે.
તમને જણાવી દઈએ કે 2016માં ભારત દ્વારા નોટબંધી બાદ નેપાળમાં મોટી ભારતીય નોટો બદલવામાં આવી ન હતી. પરિણામે નેપાળે પણ 100 રૂપિયાથી વધુની ભારતીય નોટોના ચલણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે નોટબંધીના સમયે નેપાળની બેંકિંગ સિસ્ટમમાં લગભગ 5 કરોડ રૂપિયાનું ભારતીય ચલણ હતું, જે હજુ સુધી એક્સચેન્જ કરવામાં આવ્યું નથી.

