પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિતિ ફરી એકવાર નિયંત્રણની બહાર થઈ ગઈ છે. સરકારે સિવિલ સોસાયટી ગઠબંધન ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) પર પ્રતિબંધ મૂક્યા બાદ સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, 9 જૂનના રોજ પૂર્ણ વિસ્તાર બંધના એલાન પહેલા એટલે કે આજે રાવલકોટમાં પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 11 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. પરિસ્થિતિને જોતા, ‘જોઈન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) એ મંગળવારે સંપૂર્ણ ‘શટર-ડાઉન’ અને ચક્કા જામ હડતાળનું આહ્વાન કર્યું છે, જેણે આ વિસ્તારમાં ફરી એક વખત મોટો હોબાળો થવાની સંભાવના ઊભી કરી છે.
હિંસા ફાટી નીકળી હતી જ્યારે JAAC સમર્થકો હોસ્પિટલના શબઘર બહાર એકઠા થયા હતા, જ્યાં અગાઉના ગોળીબારમાં માર્યા ગયેલા કાર્યકર્તાનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. પ્રશાસને ગયા અઠવાડિયે JAAC ને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું.
JAAC ની યોજના અને વહીવટીતંત્રની તૈયારી શું છે?
પ્રારંભિક યોજના મુજબ, JAAC એ જાહેરાત કરી છે કે વિરોધીઓ સૌથી દક્ષિણના જિલ્લા ભીંબરથી ‘લોંગ માર્ચ’ શરૂ કરશે. આ કૂચ મીરપુર, કોટલી અને પૂંચ થઈને 10 જૂને મુઝફ્ફરાબાદ પહોંચશે, જ્યાં વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
જો કે પાકિસ્તાની અધિકારીઓ આ અંગે કડક વલણ અપનાવી રહ્યા છે. વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ માર્ચને કોઈપણ સંજોગોમાં મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્રની તાજેતરની કાર્યવાહીમાં, સમગ્ર વિસ્તારમાંથી 200 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓનું માનવું છે કે સંગઠનના ટોચના નેતાઓ અત્યારે ફરાર છે, તેથી રસ્તાઓ પર ભારે ભીડ એકઠી થવાની શક્યતા ઓછી છે, પરંતુ ઘણી જગ્યાએ નાના પાયે પ્રદર્શન થઈ શકે છે.
રાવલકોટમાં પરિસ્થિતિ કેવી રીતે વણસી? ગેરિલા યુદ્ધની તર્જ પર હુમલો
રવિવારની મધ્યરાત્રિએ, પ્રશાસન અને સુરક્ષા દળોએ ઘણા પ્રયત્નો પછી રાવલકોટમાં પ્રદર્શનકારીઓનો પીછો કર્યો. ડિવિઝનલ કમિશનર સરદાર વાહીદ ખાનના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ માત્ર કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH) જવાનો રસ્તો જ રોક્યો ન હતો પરંતુ લગભગ આખી હોસ્પિટલનો કબજો પણ લઈ લીધો હતો. જેના કારણે તબીબો અને પેરામેડિકલ સ્ટાફે જીવ બચાવવા ત્યાંથી ભાગવું પડ્યું હતું.

