મુખ્યમંત્રીશ્રીએ દાદાના આશીર્વાદ લીધા અને રથનું પૂજન કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી
અમદાવાદના શાહીબાગ સ્થિત કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાનજીના રથની આરતી ઉતારી હતી અને ત્યાર બાદ શ્રીફળ વધેરીને શોભાયાત્રાના મુખ્ય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, વિવિધ ટ્રક, ‘ઓપરેશન સિંદૂર’ના ટેબ્લો, વિશાળ ગદા, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાહીબાગ કેમ્પ હનુમાનથી નીકળેલી આ શોભાયાત્રા બપોરે વાસણા બેરેજ સ્થિત વાયુદેવતા મંદિરે પહોંચશે અને ત્યાંથી સાંજે નિજ મંદિરે પરત ફરશે.
આ પ્રસંગે કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી, એડીસી બૅન્કના ચેરમેન અજયભાઈ પટેલ, મંદિરના અન્ય ટ્રસ્ટીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

કયા કારણસર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાનજીને કેમ્પ હનુમાનજી કહેવાય છે?
આ મંદિર અમદાવાદના કેન્ટોનમેન્ટ (Cantonment) વિસ્તારમાં આવેલું છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, જે વિસ્તારમાં લશ્કરી છાવણી અથવા સૈનિકોના ઉતારા હોય તેને અંગ્રેજીમાં ‘Camp’ (કેમ્પ) કહેવામાં આવતો હતો. આ મંદિર લશ્કરી વસાહતની સરહદની અંદર આવેલું હોવાથી તે ‘કેમ્પના હનુમાન’ તરીકે ઓળખાવા લાગ્યું.

