સાઉદી અરેબિયામાં ઉમરાહ યાત્રા દરમિયાન થયેલા એક દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીયોના મોત થયા હોવાના અહેવાલ છે. આમાંના મોટાભાગના મુસાફરો હૈદરાબાદના હોવાનું કહેવાય છે. તેલંગાણા સરકાર અને જેદ્દાહમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે અને લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. તે જોઈ શકાય છે કે ટેન્કર સાથે અથડાયા બાદ બસ આગનો ગોળો બની ગઈ હતી.
મુસાફરો રાત્રે સૂતા હતા
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના રાત્રે લગભગ 1.30 વાગ્યે બની હતી જ્યારે મોટાભાગના મુસાફરો સૂતા હતા. સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી હતી. અહેવાલો અનુસાર ટેન્કરમાં ડીઝલ ભરેલું હતું. આવી સ્થિતિમાં બસ અથડાતા જ તેમાં આગ લાગી અને બસ સળગવા લાગી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બસમાંથી ધુમાડાના મોટા ગોટેગોટા નીકળતા હતા. ગભરાટમાં મુસાફરો કંઈ સમજી શકે ત્યાં સુધીમાં તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા.
પ્રશાસનને માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક રાહત અને બચાવ માટે પહોંચી ગઈ હતી. જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે જે નીચે મુજબ છે – 8002440003.
વિદેશ મંત્રી એસ જયશંકરે શોક વ્યક્ત કર્યો
વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે સાઉદી અરેબિયાના મદીનામાં બસ દુર્ઘટનામાં ભારતીય નાગરિકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ડૉ. જયશંકરે સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સાઉદી અરેબિયાના મદીનામાં ભારતીય નાગરિકોને સંડોવતા અકસ્માતથી ઊંડો આઘાત લાગ્યો છે. રિયાધમાં અમારું દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ આ દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”

