કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ચાર લેબર કોડના વિરોધમાં ગુરુવારે 12 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. તેના કારણે બેંકિંગ અને અન્ય જાહેર સેવા ક્ષેત્રોને અસર થવાની સંભાવના છે. હડતાલને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં જાહેર ક્ષેત્રની બેંકો, સરકારી કચેરીઓ, બજારો અને પરિવહન સેવાઓને અસર થઈ શકે છે. આ કોલમાં ભારતીય મઝદૂર સંઘ (BMS), ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, ACTU, LPF, UTUC અને NFITU-ધનબાદ સહિત 12 સંસ્થાઓનો સમાવેશ થાય છે. ખેડૂત સંગઠનોએ પણ સમર્થન આપ્યું છે.
ટ્રેડ યુનિયનો આક્ષેપ કરે છે કે કેન્દ્રની નીતિઓ ‘પ્રો-કોર્પોરેટ’ અને ‘શ્રમ વિરોધી’ છે. તેઓ કહે છે કે ચાર નવા શ્રમ સંહિતા – વેતન કોડ 2019, ઔદ્યોગિક સંબંધો કોડ 2020, સામાજિક સુરક્ષા કોડ 2020 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી શરતો કોડ 2020 – 29 જૂના શ્રમ કાયદાઓને સમાવિષ્ટ કરીને બનાવવામાં આવ્યા છે, જેણે કામદારોના અધિકારોને નબળા પાડ્યા છે, અને નોકરીયાતોને વધુ સ્વતંત્રતા આપવામાં આવી છે. ટ્રેડ યુનિયનોએ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) ના ખાનગીકરણ, વેતન સુરક્ષા અને અન્ય મજૂર હિતોને લગતા મુદ્દાઓ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
હડતાળથી બેંકિંગ સેવાઓને પણ અસર થઈ શકે છે, કારણ કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) સહિત અનેક બેંક યુનિયનોએ હડતાળને સમર્થન આપ્યું છે. સાર્વજનિક પરિવહન સેવાઓમાં વિક્ષેપ અને કેટલાક વિસ્તારોમાં રોડ બ્લોક થવાની પણ શક્યતા છે.
દરમિયાન, તમિલનાડુ સરકારે રાજ્યના કર્મચારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ આવતીકાલે કાર્યસ્થળ પર રિપોર્ટ નહીં કરે, તો તેમને દિવસભરનો પગાર ચૂકવવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટતા કરી છે કે હડતાળમાં ભાગ લેવાને અધિકૃત રજા તરીકે ગણવામાં આવશે નહીં. સરકારનું કહેવું છે કે આ પગલું જાહેર સેવાઓની સાતત્યતા અને સુગમ વહીવટી કામકાજને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

