મામલતદારને આવેદન, હરસોલી ચોકડી પાસે ઉત્તમ ડેરી પર પશુપાલકોએ સૂત્રોચાર કર્યા
દહેગામ, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દૂધ સ્વીકાર મુદ્દે પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વચ્ચે સર્જાયેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકાતા તાલુકાના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે મંગળવારે રાત્રે પશુપાલકોએ દહેગામની નેહરુ ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રોષે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જો માગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
દરમિયાન બુધવારે સવારે પશુપાલકોએ ફરીથી વિરોધ નોંધાવ્યો હતો. નેહરુ ચોકડીથી રેલી સ્વરૂપે પશુપાલકો દહેગામની હરસોલી ચોકડી પાસે આવેલી ઉત્તમ ડેરી સુધી પહોંચ્યા હતા. અહીં પશુપાલકોએ ડેરી સામે સૂત્રોચાર કર્યા હતા અને વિરોધના ભાગરૂપે દૂધના કેન રસ્તા પર ઢોળી આક્રોશ વ્યકત કર્યો હતો. આ ઘટનાને કારણે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસે પશુપાલકોને સમજાવ્યા બાદ પરિસ્થિતિ થાળે પડી હતી.
ત્યારબાદ પશુપાલકો નેહરુ ચોકડીથી રેલી સ્વરૂપે દહેગામ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, જયાં તેમણે પોતાની માગણીઓ સાથેનું આવેદનપત્ર સુપરત કર્યું હતું.
પશુપાલકોનું કહેવું છે કે, મધુર ડેરીમાં દૂધ સ્વીકાર પર મુકાયેલા પ્રતિબંધના કારણે તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે અને તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
પશુપાલકોનું કહેવું છે કે, મધુર ડેરીમાં દૂધ સ્વીકાર પર મુકાયેલા પ્રતિબંધના કારણે તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે અને તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
બપોર બાદ પશુપાલકો ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ રજૂઆત કરી આવેદન આપ્યું હતું અને પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી હતી.

