અમદાવાદ, ગાંધીનગરની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અપ્રમાણસર મિલકત ધરાવવાના ૧૭ વર્ષ જૂના એક મહત્ત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાંધીનગરના તત્કાલિન અધિક આવકવેરા કમિશનરના પત્ની જશોદાબેન વડાદિયાને દોષી ઠેરવી બે વર્ષની કેદ અને રૂપિયા ૨૦ હજારના દંડની સજા ફટકારી છે. જ્યારે આવકવેરા અધિકારીનું મૃત્યુ થતા કેસ પડતો મૂકાયો છે.
ગાંધીનગર સીબીઆઈએ ૩૦ જૂન, ૨૦૦૭ના રોજ તત્કાલિન આવકવેરા અધિકારી રમેશભાઈ ફૂલચંદ વડાદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ૧ જાન્યુઆરી, ૨૦૦૨થી ૩૦ એપ્રિલ, ૨૦૦૭ દરમિયાન આ મિલકતો વસાવવામાં આવી હતી. શરૂઆતમાં રૂપિયા ૨૯.૪૯ લાખની વધુ આવક જણાઈ હતી, જે તેમના જાણીતા સ્રોતો કરતા ૨૪૭ % વધુ હતી.
સીબીઆઈએ ૨૪ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ રમેશભાઈ અને તેમના પત્ની જશોદાબેન સામે રૂપિયા ૨૫.૪૬ લાખની વધારાની સંપત્તિ (૧૩૩.૯૮%) બદલ ચાર્જશીટ દાખલ કરી હતી.આ કેસની કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ ચાલી રહી હતી તે દરમિયાન મુખ્ય આરોપી રમેશભાઈ વડાદિયાનું અવસાન થયું હતું.
કાયદાકીય જોગવાઈ મુજબ તેમના મૃત્યુને કારણે તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. જોકે, તેમની પત્ની જશોદાબેન સામે ‘ખાનગી વ્યક્તિ’ તરીકે મિલકતો રાખવા બદલ કેસ ચાલુ રહ્યો હતો. સીબીઆઈ કોર્ટે પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી ઠેરવ્યું હતું કે, જશોદાબેન વડાદિયા આ ગુનામાં સહભાગી હતા. કોર્ટે જશોદાબેનને બે વર્ષની સખત કેદ અને રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે.SS1MS

