ઓપરેશન સિંદૂરના છ મહિના પછી, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) એ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને નિશાન બનાવવા અને આતંકવાદી હુમલાઓ કરવાના તેમના પ્રયાસો ફરી તેજ કર્યા છે. આ સંદર્ભમાં, આતંકવાદી સંગઠનોએ સરહદ પારથી લોજિસ્ટિક્સનો પુરવઠો, ડ્રોન દ્વારા જાસૂસી અને સરહદ પારથી ઘૂસણખોરીની ઘટનાઓમાં ઝડપથી વધારો કર્યો છે. ગુપ્તચર દસ્તાવેજોને ટાંકીને એનડીટીવીના અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરથી આતંકવાદી જૂથોએ ઘૂસણખોરી, જાસૂસી અને ક્રોસ બોર્ડર લોજિસ્ટિક્સમાં વધારો કર્યો છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસીસ ગ્રુપ (SSG) અને ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI) ઓપરેટિવ્સ દ્વારા મદદ કરવામાં આવતા લશ્કર અને જૈશના કેટલાક એકમોએ નિયંત્રણ રેખા પાર કરીને જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કર્યો છે. ગુપ્તચર સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આતંકવાદી શમશેરના નેતૃત્વમાં લશ્કર-એ-તૈયબાના એક યુનિટે ડ્રોન દ્વારા હવાઈ જાસૂસી હાથ ધરી છે અને નિયંત્રણ રેખા પર નબળા સ્થળોની ઓળખ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા અઠવાડિયામાં આ સ્થળો પર સંભવિત આત્મઘાતી હુમલા થઈ શકે છે અથવા ત્યાં શસ્ત્રો છોડવામાં આવી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં અસ્થિરતા ફેલાવવાનો હેતુ
ગુપ્તચર મૂલ્યાંકન એ પણ સૂચવે છે કે ભૂતપૂર્વ SSG સૈનિકો અને આતંકવાદીઓની બનેલી પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમો (BAT) ને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ફરીથી ગોઠવવામાં આવી છે, જે ભારતીય લક્ષ્યો પર સંભવિત ક્રોસ બોર્ડર હુમલા સૂચવે છે. ઓપરેશન સિંદૂર પછી આ સૌથી સુનિયોજિત પ્રવૃત્તિઓમાંની એક છે, જે કેન્દ્રશાસિત પ્રદેશને “અસ્થિર” કરવાની પાકિસ્તાનની નવી વ્યૂહરચના દર્શાવે છે.
ઓપરેશન સિંદૂર મે મહિનામાં થયું હતું
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને મેના પહેલા સપ્તાહમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને ઘણા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ થયો. જેમાં પાકિસ્તાનના ઘણા સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પાકિસ્તાનના ઘણા ફાઈટર પ્લેન અને ડ્રોનને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે ઓપરેશન સિંદૂરના છ મહિના પછી, પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ ફરીથી ભારત પર આયોજિત હુમલાઓ અને કાશ્મીરમાં ઘૂસણખોરીની નવી લહેર ચલાવવામાં વ્યસ્ત છે.

