અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકતું જણાતું નથી. આ દરમિયાન ઈરાને ફરી એકવાર પાડોશી દેશો પર હુમલા શરૂ કર્યા છે. કુવૈતે ઈરાન પર નાગરિક વિસ્તારો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે મહત્વની સુવિધાઓને પણ નષ્ટ કરી દેવાની વાત પણ સામે આવી છે. ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ કુવૈતે શનિવારે તેના એરસ્પેસમાં તમામ ફ્લાઈટ ઓપરેશન્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા. હુમલામાં પાવર જનરેશન અને ડિસેલિનેશન પ્લાન્ટને નુકસાન થયું છે. કુવૈત એરવેઝે જણાવ્યું હતું કે સુરક્ષા કારણોસર કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જેના કારણે મોટાભાગની ફ્લાઈટ્સ રિશિડ્યુલ કરવામાં આવી હતી. એરલાઇન્સે એ જણાવ્યું નથી કે સામાન્ય સેવાઓ ક્યારે ફરી શરૂ થશે અને કેટલી ફ્લાઇટ્સ પ્રભાવિત થશે.
હવાઈ હુમલાના સાયરન્સ
શનિવારે વહેલી સવારે કુવૈતમાં હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ લોકોને ઘરની અંદર રહેવા અને સલામત સ્થળોએ આશ્રય લેવા વિનંતી કરી કારણ કે ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલો કુવૈતીની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ દાવો કર્યો હતો કે તેણે કુવૈતમાં આરિફજાન ગ્રાઉન્ડ ફોર્સિસ સપોર્ટ સેન્ટરને નિશાન બનાવ્યું હતું, જેમાં ત્યાં તૈનાત ઘણા યુએસ સૈનિકો માર્યા ગયા હતા. IRGCએ તેને તેના ‘ઓપરેશન નસર-2’ના 18મા તબક્કાના ભાગ તરીકે વર્ણવ્યું છે.
શું છે ઈરાનનો દાવો?
IRGC એ એવો પણ દાવો કર્યો હતો કે ડ્રોન હુમલાએ કુવૈતમાં યુએસ અલી અલ સાલેમ એર બેઝ પરની રડાર સુવિધાને અક્ષમ કરી દીધી હતી. ઈરાનના રાજ્ય મીડિયાએ એવો પણ દાવો કર્યો હતો કે IRGC નેવીએ અલ અહમદી બંદર પર યુએસ નેવી ફ્યુઅલ સપોર્ટ ફેસિલિટી અને યુએસ કોમ્યુનિકેશન્સ એન્ડ સિગ્નલિંગ સેન્ટર પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. આ દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી.
ઈરાનને કેટલું નુકસાન?
દરમિયાન, કુવૈતના વીજળી, પાણી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે અન્ય પાવર જનરેશન અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પણ ઈરાની હુમલાનો ભોગ બન્યો હતો, જેના કારણે પ્લાન્ટના એક ભાગમાં આગ લાગી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્લાન્ટ્સ, તેમના કર્મચારીઓ અને રાષ્ટ્રીય વીજળી ગ્રીડની સલામતીને સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલા તરીકે ઘણા વીજ ઉત્પાદન એકમોને અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા હતા.

