અમેરિકા અને ઈરાન ટૂંક સમયમાં રાજદ્વારી વાટાઘાટોનો બીજો રાઉન્ડ શરૂ કરી શકે છે. બંને દેશો વચ્ચે છેલ્લા છ સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. બે અમેરિકી અધિકારીઓ અને ઘટનાક્રમની જાણકારી ધરાવનાર અન્ય એક વ્યક્તિના જણાવ્યા અનુસાર બંને દેશો વર્તમાન યુદ્ધવિરામ આવતા અઠવાડિયે સમાપ્ત થાય તે પહેલાં સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેઓ રૂબરૂ બેસીને નવી વાતો કરવાનું વિચારી રહ્યા છે.
એસોસિએટેડ પ્રેસ (એપી)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રણાના નવા રાઉન્ડ માટે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. તે જ સમયે, મધ્યસ્થી કરનારા દેશોમાંથી એકના રાજદ્વારીએ મોટો દાવો કરતા કહ્યું છે કે તેહરાન અને વોશિંગ્ટન વાતચીત માટે સંપૂર્ણ રીતે સંમત છે. ચારેય સૂત્રોએ રાજદ્વારી સંવેદનશીલતાને કારણે નામ ન આપવાની શરતે એપીને આ માહિતી આપી હતી. હાલ એ સ્પષ્ટ નથી કે ગત વખતની જેમ જ ઉચ્ચ અધિકારીઓ કે પ્રતિનિધિમંડળ આ વખતે પણ મંત્રણામાં ભાગ લેશે કે નહીં.
વાતચીત ક્યાં અને ક્યારે થઈ શકે?
રાજદ્વારીઓ અને અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે મંત્રણાની મેજબાની માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદનું નામ ફરી એકવાર ચર્ચાઈ રહ્યું છે. આ સિવાય અમેરિકન અધિકારીઓએ સંભવિત વિકલ્પ તરીકે જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)નો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, સ્થળ અને સમયને લઈને હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રોનું માનવું છે કે ગુરુવારે વાટાઘાટો થઈ શકે છે.
ટ્રમ્પનું નિવેદન અને વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા
સોમવારે પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ‘બીજી બાજુએ અમારો સંપર્ક કર્યો છે. તેઓ સમાધાન કરવા માંગે છે. બીજી બાજુ, જ્યારે આ સમગ્ર મામલે ટિપ્પણી કરવા અને સંભવિત નવી વાતચીત માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમની તરફથી કોઈ તાત્કાલિક પ્રતિસાદ કે જવાબ મળ્યો ન હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી તબક્કાની વાતચીત ટૂંક સમયમાં શક્યઃ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે આગામી તબક્કાની વાતચીત ટૂંક સમયમાં થવાની આશા છે. શનિવારે બંને દેશો વચ્ચે 21 કલાકની મંત્રણા 1979 પછી તેમની પ્રકારની પ્રથમ હતી, જેમાં બંને પક્ષના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. જો કે, સપ્તાહના અંતે પાકિસ્તાનમાં યોજાયેલી લાંબી વાટાઘાટો પછી પણ, બંને પક્ષો યુદ્ધને સમાપ્ત કરવા માટે કાયમી શાંતિ કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા.

