ઈરાનના સંરક્ષણ પ્રધાન અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર મોહમ્મદ પાકપુર ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીથી વાકેફ બે સૂત્રો અને એક પ્રાદેશિક સ્ત્રોતે આ માહિતી આપી છે. ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા વચ્ચે આ ઘટના બની છે. આનાથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે. જો કે ઈરાન દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર ઈરાનમાં આજે સવારે આ હુમલા કરવામાં આવ્યા હતા, જેને તેહરાન વિરુદ્ધ ઈઝરાયેલના પ્રી-ઈમ્પ્ટિવ સ્ટ્રાઈકની શરૂઆત ગણાવવામાં આવી રહી છે. ઇઝરાયલી અધિકારીઓ દ્વારા પ્રારંભિક મૂલ્યાંકન એ છે કે IRGC વડા પાકપુર, સંરક્ષણ પ્રધાન અને ગુપ્તચર વડાની હત્યા થવાની સંભાવના છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેની અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત કેટલાક ટોચના કમાન્ડરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના હુમલાનું પરિણામ હજુ સ્પષ્ટ થયું નથી.
2025 માં કમાન સંભાળી
IRGC એ ઈરાનની સૌથી શક્તિશાળી સૈન્ય અને સુરક્ષા સંસ્થા છે, જે સીધા સુપ્રીમ લીડર હેઠળ કામ કરે છે. જનરલ મોહમ્મદ પાકપુરે જૂન 2025ના યુદ્ધમાં તેમના પુરોગામી હુસૈન સલામીના મૃત્યુ પછી IRGCની કમાન સંભાળી હતી. ઈરાનના સંરક્ષણ પ્રધાન તરીકે, અમીર નાસિરઝાદેહે લશ્કરી નીતિઓ અને શસ્ત્રોના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ મૃત્યુએ ઈરાનના લશ્કરી કમાન્ડને મોટો ફટકો આપ્યો છે, જે પ્રાદેશિક સંઘર્ષને વધુ ભડકાવી શકે છે.
ઈરાને હજુ સુધી પુષ્ટિ કરી નથી
ઈરાન દ્વારા હજુ સુધી આ મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ માહિતી પ્રાદેશિક સ્ત્રોતો અને ગુપ્તચર અહેવાલોમાંથી સામે આવી છે. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે પહેલા હુમલા બંધ થવા જોઈએ, ત્યારબાદ જ વાતચીત થવાની શક્યતા છે. હુમલા બાદ ઈઝરાયેલમાં સાયરન વાગવા લાગ્યા છે અને ફ્લાઈટને અસર થઈ છે. ઈરાને તેની એરસ્પેસ બંધ કરી દીધી છે અને જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે જૂન 2025ના 12 દિવસના યુદ્ધ પછી આ હુમલો સૌથી મોટી કાર્યવાહી છે, જેમાં અગાઉ IRGC ચીફ સલામી પણ માર્યા ગયા હતા. આ મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ વધારે છે, જેમાં પ્રોક્સી જૂથો અને અન્ય દેશો સામેલ થઈ શકે છે.

