·સમ્રાટ સંપ્રતિ મહારાજા ભારતના દર્શન અને અભ્યાસને જોડતા સેતુરૂપ હતા
·ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન માટે‘જ્ઞાન ભારતમ મિશન‘શરૂ કરાયું
·મહાવીર સ્વામીના જન્મદિવસે કોબા ખાતેનો કાર્યક્રમ જડોથી જોડાવાનો,જ્યારે સાણંદ ખાતેનો બીજો કાર્યક્રમ સેમિકંડક્ટર ચિપ થકી જગત સાથે જોડાવાનો
·વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો જ વિશ્વને શાંતિનો રાહ દર્શાવી શકે એમ છે: મુખ્યમંત્રી
ગાંધીનગરના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર,કોબા,ગાંધીનગર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના શુભ અવસરે ભારતીય વિરાસતના ગૌરવ અને જૈન સંસ્કૃતિને સમર્પિત વિશ્વસ્તરીય ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્ર સંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી,રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે,વર્ષોથી કોબા જૈન તીર્થના સાનિધ્યમાં અભ્યાસ,સાધના અને આત્મ-શિસ્તની પરંપરાઓ વિકસી રહી છે. અહી મૂલ્યોનું જતન,સંસ્કારોનું સંવર્ધન અને જ્ઞાનના પોષણનો‘ત્રિવેણી‘સંગમ રચાય છે,જે ભારતીય સભ્યતાનો પાયો છે. આ ત્રિવેણીને અવિરત વહેતી રાખવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે,ભારતનો સમૃદ્ધ વારસો હવે જૈન હેરીટેજ મ્યુઝિયમ દ્વારા આવનારી સદીઓ માટે સાચવવામાં આવી રહ્યો છે.જે નવી પેઢીને સતત પ્રેરણા આપતો રહેશે. આ મ્યુઝિયમ જૈન દર્શન,ભારતીય સંસ્કૃતિ અને આપણા પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર છે.

આ સંગ્રહાલયના સર્જનમાં સહયોગ આપનાર તમામ જૈન મુનિઓઅને સમર્પિત નાગરિકોને વડાપ્રધાનશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમ્રાટ સંપ્રતિના ઐતિહાસિક મહત્વ વિશે કહ્યું હતું કે,ઘણી સંસ્કૃતિઓએ મહાન ચિંતકો અને દાર્શનિકો આપ્યા છે. જ્યારે સવાલ સત્તા અને સત્યનો હોય છે,ત્યારે અનેક શાસકોએ સત્તા લાલસા માટે આદર્શો અને મૂલ્યોને બાજુમાં મૂકી દીધા હતા,જેથી વિચાર અને વ્યવહાર વચ્ચે ખાઈ વધી ગઈ. તેમણે કહ્યું કે,સમ્રાટ સંપ્રતિ માત્ર ઐતિહાસિક રાજા ન હતા પરંતુ ભારતના દર્શન અને અભ્યાસને જોડતો સેતુ હતા.
વડાપ્રધાનશ્રીએ સંગ્રહાલયની ભવ્યતા વિશે જણાવ્યું હતું કે,અહી આવેલી સાત ગેલેરીઓ રાષ્ટ્રની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવે છે. જેમાં નવપદ એટલે કે અરિહંત,સિદ્ધ,આચાર્ય,ઉપાધ્યાય,સાધુ,દર્શન,જ્ઞાન,ચરિત્ર અને તપની સાથે તીર્થંકરોની વાર્તાઓ અને ઉપદેશોને કલાત્મક રીતે જીવંત કરે છે. તેમણે કહ્યું કે,જ્યારે જ્ઞાન‘સમ્યક‘હોય છે,ત્યારે તે સમભાવ અને સેવાનો પાયો બને છે.

