સરસપુર-રખિયાલમાં જિગ્નેશ મેવાણી સામે કોંગ્રેસી કાર્યકરોનો વિરોધ-કાર્યકરોએ કાળા વાવટા ફરકાવ્યા, હાય હાયના નારા લગાવ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી કરવા મામલે જુદા જુદા વોર્ડમાં સ્થાનિક કાર્યકરોનો વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે.
કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઈને સર્જાયેલો આંતરિક અસંતોષ સપાટી પર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીએ વિરોધના કારણે કાર્યક્રમ સ્થળ બદલવો પડ્યો હતો અને તેમની સાથે પેનલના ફક્ત એક જ ઉમેદવાર સુબોધ કુમુદ જ હાજર રહ્યા હતા. હવે રખિયાલ- સરસપુર વોર્ડમાં પણ કાળા વાવટા બતાવીને મેવાણીનો વિરોધ કરાયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના પૂર્વ મહામંત્રી શકીલ ઘાંચીએ જણાવ્યું હતું કે, સરસપુર રખિયાલ વોર્ડમાં મારી પત્નીને ટિકિટ આપવાનું નક્કી થયું હતું. તેમજ મેન્ડેટ લેવા માટે પણ આવવા કહેવામાં આવ્યું હતું. જેથી અમે બધી જગ્યાએ પોસ્ટ મુકીને ટિકિટ મળી ગઈ છે તેવી ઉજવણી પણ કરી દીધી હતી.
પરંતુ છેલ્લી ઘડીએ અમારી ટિકિટ કાપીને અન્ય મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. હિંમતસિંહ પટેલ પાસે ગયા હતા તો તેમણે એવું કહ્યું કે તે ઉપરથી વાત કરાવીને ટિકિટ લઈને આવ્યા છે. જેથી સક્રિય કાર્યકર્તા છીએ છતાં ટિકિટ કાપતા મેં રાજીનામું આપી દીધું હતું.
રખિયાલ-સરસપુર વોર્ડમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા પહોંચેલા સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સ્થાનિક કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાયથી નારાજ કાર્યકર્તાઓએ રેલી દરમિયાન કાળા ઝંડા ફરકાવ્યા હતા અને હાય હાયના નારા લગાવ્યા હતા.
સિનિયર નેતાઓની જીદના કારણે સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપવામાં આવતા હવે કોંગ્રેસના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોને જનતા વચ્ચે જવા માટે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો.
સરસપુર રખિયાલ વોર્ડમાં પણ સિનિયર નેતાઓની જીદના કારણે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલી દેવામાં આવતાં સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કપાતા હવે સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણી સરસપુર રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા.
પરંતુ ટિકિટના વિવાદના કારણે રેલી જ્યારે મન્સૂરીની ચાલી પાસે પહોંચી ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારક અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે બીજી તરફ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જીતેગા ભાઈ જીતેગા પંજા વાલા જીતેગાના નારા લગાવ્યા હતા.

