કેન્દ્ર સરકારે બુધવારે અરવલ્લીની પહાડીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ રાજ્યોને આદેશ આપ્યો છે કે તેઓ અરવલીઓમાં નવા માઈનિંગ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદશે. સરકારનું કહેવું છે કે તે અરવલ્લીની પહાડીઓના સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જૈવવિવિધતાના સંરક્ષણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખે છે. અરવલ્લી રેન્જ દિલ્હીથી ગુજરાત સુધી વિસ્તરેલી છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ લોકો અરવલ્લીને લઈને સરકારનો વિરોધ કરી રહ્યા હતા. હવે ગેરકાયદેસર ખાણકામ સામે રક્ષણ આપવા માટે એક મોટું પગલું ભરતા, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે રાજ્યોને અરવલીમાં કોઈપણ પ્રકારના નવા ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી રેન્જમાં સમાનરૂપે લાગુ થશે અને તેનો ઉદ્દેશ્ય આ શ્રેણીની અખંડિતતા જાળવવાનો છે.” આ દિશાનિર્દેશોનો ઉદ્દેશ્ય ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સુધી વિસ્તરેલી સતત ભૂસ્તરશાસ્ત્રીય શ્રેણી તરીકે અરવલીઓને સુરક્ષિત રાખવાનો અને તમામ અનિયંત્રિત ખાણકામ પ્રવૃત્તિઓને રોકવાનો છે.” વધુમાં, મંત્રાલયે ભારતીય વનીકરણ સંશોધન અને શિક્ષણ પરિષદ (ICFRE)ને સમગ્ર અરવલી પ્રદેશમાં વધુ વિસ્તારો/ઝોન ઓળખવા નિર્દેશ આપ્યો છે જ્યાં ખાણકામ પર પ્રતિબંધ હોવો જોઈએ. આ વિસ્તારો કેન્દ્ર દ્વારા પહેલાથી પ્રતિબંધિત ખાણકામ વિસ્તારો ઉપરાંત હશે, અને ઇકોલોજીકલ, ભૂસ્તરશાસ્ત્રીય અને લેન્ડસ્કેપ-સ્તરની વિચારણાઓના આધારે ઓળખવામાં આવશે.
સરકારે એ પણ નિર્દેશ આપ્યો છે કે જે ખાણો પહેલેથી જ કાર્યરત છે, સંબંધિત રાજ્ય સરકારોએ તમામ પર્યાવરણીય સંરક્ષણ પગલાંનું કડક પાલન સુનિશ્ચિત કરવું જોઈએ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કામ કરવું જોઈએ. પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ ખાણકામ પ્રથાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે, ચાલુ ખાણકામ પ્રવૃત્તિઓને વધારાના નિયંત્રણો સાથે સખત રીતે નિયંત્રિત કરવામાં આવશે.
નવેમ્બર 2025 માં, સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ મંત્રાલયની આગેવાની હેઠળની સમિતિની ભલામણ પર અરવલ્લી હિલ્સ અને અરવલ્લી રેન્જની સમાન કાનૂની વ્યાખ્યા સ્વીકારી. આ વ્યાખ્યા હેઠળ, ‘અરવલ્લી હિલ્સ’ એ તેની આસપાસના ભૂપ્રદેશથી ઓછામાં ઓછી 100 મીટરની ઊંચાઈ ધરાવતું ભૂમિસ્વરૂપ છે અને ‘અરવલ્લી પર્વતમાળા’ એ એકબીજાથી 500 મીટરની અંદર આવી બે કે તેથી વધુ ટેકરીઓનો સમૂહ છે. આ પછી સોશિયલ મીડિયા પર સરકારની ટીકા થવા લાગી.

