બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દરમિયાન ભારત સાથેના સંબંધોને આંચકો લાગ્યો હતો, પરંતુ આશા વ્યક્ત કરી હતી કે આગામી સપ્તાહની સામાન્ય ચૂંટણીઓ પછી નવી સરકાર હેઠળ સંબંધો પુનઃસ્થાપિત થઈ શકે છે.
હુસૈને સામાન્ય ચૂંટણીના એક સપ્તાહ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “વચગાળાની સરકાર દરમિયાન સંબંધોને કેટલીક અડચણોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે (સંબંધો) મહત્વપૂર્ણ રહે છે.” ઓગસ્ટ 2024માં શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારને સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ આ પહેલી ચૂંટણી હશે. ભારતમાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતા હુસૈને આશા વ્યક્ત કરી હતી કે ચૂંટણી બાદ નવી સરકાર સંબંધોને પાટા પર લાવવા માટે કેટલાક માર્ગો શોધી શકશે.
બાંગ્લાદેશમાં, 2024માં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના હિંસક વિરોધ દરમિયાન હસીનાને વડા પ્રધાનપદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ યુનુસની આગેવાની હેઠળ વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. ત્યારથી હસીના (78) ભારતમાં જ રહે છે.
જો ભારત હસીનાને પરત મોકલવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે તો આગામી સરકાર નવી દિલ્હી સાથે સંબંધો પુનઃસ્થાપિત કરી શકશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા હુસૈને કહ્યું, “નિરાશાવાદી ન બનો.”
તમને જણાવી દઈએ કે માનવાધિકાર જૂથો અને હિંદુ નેતાઓ તાજેતરના મહિનાઓમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓને 12 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા વધતા ધ્રુવીકરણ અને ઇસ્લામ સમર્થકોના પુનરુત્થાનના સંકેત તરીકે જોઈ રહ્યા છે.

