*શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો*
ગાંધીનગર, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન,ગાંધીનગર ખાતે તા. ૨૮ માર્ચ,૨૦૨૬ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો એક ગરિમામય અને ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે,સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે. તેને જાળવી રાખવી અને આગળ વધારવી એ આપણી સૌની જવાબદારી છે. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને તેના મૂળ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ અવસરે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત રાજ્યવ્યાપી સ્પર્ધાઓમાં ભાગ લેનારા હજારો પ્રતિભાગીઓમાંથી રાજ્ય સ્તરીય સમીક્ષા પછી ૧૨૨ પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને ‘ગીતાભૂષણ’ અને ‘શતસુભાષિત પંડિત’ની પ્રતિષ્ઠિત ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત “સંસ્કૃત કક્ષ” યોજના અંતર્ગત રાજ્યભરમાં ૫૦૦થી વધુ શાળાઓ,કોલેજો અને અન્ય સંસ્થાઓને સંસ્કૃત અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે અનુદાનનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગીતા પાઠ,સંસ્કૃત જ્ઞાન અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ વિદ્વાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ભાગ્યેશ ઝા અને વિશેષ અતિથિઓ તરીકે લોકભવનના મુખ્ય સચિવ શ્રી અશોક શર્મા,શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સુકાન્તકુમાર સેનાપતિ,ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલ સહિત અનેક સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

