પાકિસ્તાનમાં ટોચના સૈન્ય નેતૃત્વને લઈને ઊંડી બંધારણીય અને સંસ્થાકીય કટોકટી ઊભી થઈ છે. પાકિસ્તાનના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ (CDF) તરીકે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની નિમણૂક કરવાના નોટિફિકેશન પર હસ્તાક્ષર કરવાનું ટાળવા માટે વડા પ્રધાન શેહબાઝ શરીફ જાણી જોઈને દેશની બહાર રહી રહ્યા છે.
સુરક્ષા નિષ્ણાત અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) ના સભ્ય તિલક દેવાશેરે ANI ને જણાવ્યું કે 29 નવેમ્બર, એટલે કે અસીમ મુનીરના મૂળ ત્રણ વર્ષના કાર્યકાળની અંતિમ તારીખ નજીક આવી, શેહબાઝ શરીફ બહેરીન અને પછી લંડન જવા રવાના થયા.
તેમણે કહ્યું- ખૂબ જ ચાલાકીથી પાકિસ્તાનના વડાપ્રધાન બહેરીન ગયા અને ત્યાંથી સીધા લંડન ગયા. તે સ્પષ્ટપણે આ નોટિફિકેશન પર હસ્તાક્ષર કરવા માંગતા નથી, જે અસીમ મુનીરને પાંચ વર્ષનો કાર્યકાળ આપશે અને તેમને સીડીએફ તરીકે નિયુક્ત કરશે.
બંધારણીય અને ઓપરેશનલ કટોકટી
નોટિફિકેશન જારી ન થવાને કારણે પાકિસ્તાનમાં સૈન્ય નેતૃત્વને લઈને અસામાન્ય સ્થિતિ સર્જાઈ છે. દેવાશેરે કહ્યું કે જો એવું માનવામાં આવે કે આસીમ મુનીરનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે, તો પાકિસ્તાન પાસે હાલમાં કોઈ આર્મી ચીફ નથી. આટલું જ નહીં, ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી, જેને નવા ‘સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ’ હેઠળ મૂકવામાં આવનાર હતી, તે પણ અવઢવમાં છે. પાકિસ્તાન માટે આ ખૂબ જ વિચિત્ર અને ખતરનાક સ્થિતિ છે.
પાકિસ્તાનના સંશોધિત બંધારણ મુજબ આર્મી ચીફનો કાર્યકાળ સીડીએફના કાર્યકાળ જેટલો એટલે કે પાંચ વર્ષનો હોય છે. પરંતુ નવી સૂચના જરૂરી છે કે કેમ તે અંગે કાયદાકીય નિષ્ણાતો વિભાજિત છે.

