આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમે સાબિત કર્યું કે તેની તૈયારીઓ ખૂબ જ જોરદાર છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આખી શ્રેણીમાં ત્રણ અડધી સદી ફટકારી અને 242 રન બનાવીને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો. સિરીઝની છેલ્લી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 271 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, જેમાં ઈશાન કિશનની વિસ્ફોટક સદી અને સૂર્યાની અડધી સદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂર્યકુમાર યાદવે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય T-20માં પોતાના 3000 રન પણ પૂરા કર્યા છે.
3000 રન પૂરા કરવાની સાથે જ સૂર્યકુમાર યાદવ આવું કરનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી ભારત તરફથી માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્માએ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3000થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ હવે સૂર્યાએ પણ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હાલમાં સૂર્યાના નામે 104 મેચમાં 3030 રન છે. જો કે, તે હજુ પણ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (4231 રન) અને વિરાટ કોહલી (4188 રન)થી અનુક્રમે 1201 અને 1158 રન પાછળ છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે સૂર્યાનો 165.48નો સ્ટ્રાઈક રેટ છે, જે રોહિત (140.89) અને વિરાટ (137.04) કરતા ઘણો વધારે છે. આ સિવાય સૂર્યા હવે સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ એવોર્ડ (6 વખત) જીતવાના મામલે વિરાટ કોહલી (7 વખત)ની ખૂબ નજીક આવી ગયો છે.
T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, રોહિત શર્માએ 159 મેચોની 151 ઇનિંગ્સમાં ભારત માટે સૌથી વધુ 4231 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 32.05 અને સ્ટ્રાઇક રેટ 140.89 હતી. તેણે પોતાની કારકિર્દીમાં 5 સદી અને 32 અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 121* છે. બીજી તરફ, વિરાટ કોહલીએ 125 મેચની 117 ઇનિંગ્સમાં 4188 રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 48.69 છે જે રોહિત કરતા ઘણી વધારે છે. કોહલીના નામે આ ફોર્મેટમાં 1 સદી અને 38 અડધી સદી છે. તેનો સ્ટ્રાઈક રેટ 137.04 છે અને સર્વોચ્ચ સ્કોર 122* છે.

