જામનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાય
જામનગર, રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. એસપી રવિ મોહન સૈની, એએસપી પ્રતિભા અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બાદ વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી.
આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોઅને વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં ભાઈચારો જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને સ્થાન ન મળે તે સુનિશ્ચિત કરવાનો હતો.
આઈજી નિર્લિપ્ત રાયના આગમનથી શહેરના અસામાજિક તત્ત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા શહેરના અનેક શંકાસ્પદ વ્યક્તિઓ અને અસામાજિક તત્ત્વોને એસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધા ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

