પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું મન રાજીનામું આપ્યા પછી વિધાનસભામાંથી ઉઠી ગયું છે અને તેઓ ગૃહમાં મોટેભાગે ગેરહાજર રહ્યા
ગુજરાત વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી ઓચિંતું રાજીનામું લઈ લેવાયું ત્યારે સમગ્ર ગુજરાતના ભા.જ. પ.માં આશ્ર્ચર્યનું મોજું ફરી વળ્યું હતું.એ પછી વિધાનસભાના આઠમા સત્રમાં સુરતના પૂર્ણેશ મોદીને ગુજરાત વિધાનસભાનું ઉપાધ્યક્ષ પદ પહેરાવવામાં આવ્યું.

પરંત નવાઈ લાગે એવી વાત એ છે કે પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું મન રાજીનામું આપ્યા પછી વિધાનસભામાંથી ઉઠી ગયું છે અને તેઓ ગૃહમાં મોટેભાગે ગેરહાજર રહ્યા હતા. અરે,તા.૨૪/૩/૨૬ના રોજની પ્રશ્નોતરીમાં જેઠા ભરવાડનો પ્રશ્ન સૌથી પહેલો હતો તો પણ તેઓ ગૃહમાં હાજર નહોતા રહ્યા.
એ સામે નવા ઉપાધ્યક્ષને પણ નવા પદથી બહુ સંતોષ હોય એવું લાગતું નથી! અને તેઓ પણ ગૃહમાં બહુ નજરે પડતાં નહોતા.જ્યારે અધ્યક્ષ શંકર ચૌધરીને કામ હોય અને તેઓ ગૃહમાં હાજર રહી શકે તેમ ન હોય ત્યારે પૂર્ણેશ મોદી ગૃહના સંચાલન માટે ગૃહમાં આવવાનું પસંદ કરતા હતા.
કર્મચારીઓ કેમ પ્રવાસન નિગમ છોડી રહ્યા છે?- ૧૨-૧૩ જેટલા વરિષ્ઠ અને અનુભવી કર્મચારીઓ નિગમમાંથી રાજીનામું આપીને નીકળી ગયા
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું સાંભળવા મળ્યું છે કે છેલ્લા અનેક વર્ષોથી(એટલે કે છેલ્લા ૧૫-૨૦વર્ષથી) ગુજરાત પ્રવાસન નિગમના ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આશરે ૧૨-૧૩ જેટલા વરિષ્ઠ અને અનુભવી કર્મચારીઓ નિગમમાંથી રાજીનામું આપીને નીકળી ગયા છે. આ ઘટના છેલ્લા ચાર મહિનામાં બની છે

એટલે તેનો અર્થ એ થાય કે પ્રવાસન નિગમમાં છેલ્લા ૪ મહિનામાં કશુંક અજુગતું બની રહ્યું છે. કમનસીબી એ છે કે પ્રવાસન કચેરીમાં સારી સંખ્યામાં અનુભવી સ્ટાફના રાજીનામાના બનાવો નોંધાયા હોવા છતાં એ નિગમના સંચાલકોના પેટનું પાણી પણ થી હલતું.
જે બાબત ખૂબ જ ચિંતાજનક છે.અહીં એ પણ વિચારવું જોઈએ કે પોતાની જિંદગીના શ્રેષ્ઠ ૧૦-૨૦ વર્ષો નિગમને આપનાર જુના કર્મચારીઓને એવી કઈ મજબુરી નડી કે તેઓએ નોકરી છોડવાની નોબત આવી?
બીજી બાજુ સરકાર દ્વારા પણ જુના અને અનુભવી કર્મચારીઓના ચાલ્યા જવા અંગે કોઈ નોંધ લેવામાં નથી આવી.આ પ્રવાસન તંત્રની અને સરકારની સંવેદનશીલતાના અભાવની નિશાની ગણાય.સરકારે પણ જાગૃત થઈ પ્રવાસન નિગમ છોડી ગયેલા અને છોડી રહેલાં કર્મચારીઓની સેવાઓનું મૂલ્યાંકન કરીને અનુભવી કર્મચારીઓની સેવાઓનો યોગ્ય ઉપયોગ થાય અને તેમને સ્થિરતા તથા માન્યતા મળે તે માટે સત્વરે ધ્યાન આપવાની જરૂર છે.
પ્રવાસન નિગમ માટે આ ચિંતાનો વિષય બનવો જોઈએ.તેનુ કારણ એ છે કે જુના,અનુભવી,પીઢ તથા ઠરેલ સ્ટાફની જગ્યાએ આવેલ નવા નિશાળિયા જેવો સ્ટાફ તેના અણધડ વહીવટને કારણે પ્રવાસન નિગમની છાપ બગાડી રહ્યો છે.આનો ઉકેલ શોધવાની તાતી જરૂર છે.

