ભાવનગર, ભાવનગરમાં મોડી રાત્રે વાગ્દત્તા સાથે બહાર નીકળેલા એક યુવક પર બે અજાણ્યા બુકાનીધારી શખસોએ છરી વડે જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી.
આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતા મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.૨૫) ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં પોતાની વાગ્દત્તા સાથે સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બાઈક ઊભું રાખી તેઓ વાતો કરી રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા બે શખસોએ છરી બતાવી તેમની પાસે રહેલી તમામ વસ્તુઓ માંગી હતી.
સામનો કરતા હુમલાખોરોએ મનદિપસિંહને ડાબા પડખે છરીના બે ઘા ઝીંકી દીધા હતા અને મનદિપસિંહનું વોલેટ તેમજ દિશાબેનનું પર્સ અને મોબાઈલ મળી ૮થી ૧૦ હજારની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા.યુવતીએ જણાવ્યું હતું કે, તેઓ વાતો કરી રહ્યા હતા ત્યારે બે શખસો છરી સાથે આવ્યા હતા.
તેમણે પૈસાની માંગણી કરતા મનદિપસિંહે પૈસા આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. દિશાબેને વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા જ લૂંટારુઓએ મનદિપસિંહને છરી મારીને લૂંટી ચલાવી હતી.SS1MS

