થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેની વિવાદિત સરહદ પર ફરી હિંસા ભડકી ઉઠી છે. સોમવારે, થાઇલેન્ડે કંબોડિયન લશ્કરી લક્ષ્યો પર હવાઈ હુમલો કર્યો, જેમાં એક થાઈ સૈનિક અને ચાર કંબોડિયન નાગરિકો માર્યા ગયા. બંને દેશો એકબીજા પર ટ્રમ્પ દ્વારા કરાયેલી શાંતિ સમજૂતીને તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ સંઘર્ષને કારણે હજારો લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે અને પૂર્વ એશિયામાં સ્થિરતા પર સવાલો ઉભા થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ માટેની જીત’ હવે જોખમમાં છે, જેના માટે તેમને નોબેલ પુરસ્કારની ભલામણ પણ મળી હતી.
બંને દેશોની સરહદ પર બીજા દિવસે પણ ભીષણ લડાઈ ચાલુ રહી, જેના કારણે હજારો નાગરિકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ ભાગવાની ફરજ પડી હતી. મંગળવારે, કંબોડિયાના શક્તિશાળી સેનેટ પ્રમુખ અને ભૂતપૂર્વ વડા પ્રધાન હુન સેને વચન આપ્યું હતું કે તેમનો દેશ થાઇલેન્ડ સામે સખત લડત આપશે અને તેની જમીનનો બચાવ કરશે.
નવો સંઘર્ષ કેવી રીતે ફાટી નીકળ્યો?
રવિવારે રાત્રે બંને દેશો વચ્ચે સરહદ પર થયેલી અથડામણમાં થાઈલેન્ડના સૈનિકના મોત બાદ અચાનક તણાવ વધી ગયો હતો. જુલાઈમાં પાંચ દિવસીય યુદ્ધનો અંત લાવી યુદ્ધવિરામ હોવા છતાં, તોપમારો ફરી શરૂ થયો. જુલાઈના સંઘર્ષમાં બંને પક્ષોના ડઝનબંધ નાગરિકો અને સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
બંને દેશો તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર તેજ બન્યો
હુન સેને ફેસબુક અને ટેલિગ્રામ પર દાવો કર્યો હતો કે કંબોડિયાએ સોમવાર સુધી સંયમ દર્શાવ્યો હતો, પરંતુ રાત્રે થાઈ લશ્કરી પ્રવૃત્તિઓના જવાબમાં ગોળીબાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે થાઈલેન્ડના આગળના વિસ્તારો પર કેન્દ્રિત પ્રતિ-આક્રમણ દ્વારા દુશ્મનની તાકાત નબળી પડી શકે છે અને તેનો નાશ કરી શકાય છે.
થાઈ સૈન્યએ આક્ષેપ કર્યો હતો કે કંબોડિયન દળોએ મંગળવારે સવારે સાકિયો પ્રાંતના એક ગામ પર આર્ટિલરી શેલ છોડ્યા હતા, જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. થાઈ લશ્કરી પ્રવક્તાએ એમ પણ કહ્યું કે કંબોડિયાએ રવિવાર અને સોમવારે તેની સ્થિતિ પર હુમલો કર્યો. હુન સેને કહ્યું- કંબોડિયા શાંતિ ઈચ્છે છે, પરંતુ તેની સાર્વભૌમત્વની રક્ષા માટે લડવા માટે મજબૂર છે.

