અમેરિકાએ પાકિસ્તાનના F-16 ફાઈટર પ્લેનના કાફલાને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. ભારતની ચિંતાઓને અવગણીને અમેરિકી પ્રશાસને પાકિસ્તાનના લગભગ 75 થી 85 જેટલા F-16 વિમાનો માટે રડાર અપગ્રેડેશન કાર્યક્રમને મંજૂરી આપી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ એશિયામાં તણાવ ચરમસીમા પર છે.
યુએસ ડિફેન્સ કંપની નોર્થ્રોપ ગ્રુમેન સિસ્ટમ્સ કોર્પને આ પ્રોજેક્ટ માટે $488 મિલિયન (આશરે રૂ. 4,000 કરોડ)નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ડીલ હેઠળ, યુએસ એરફોર્સ (યુએસએએફ) ના ફોરેન મિલિટ્રી સેલ્સ પ્રોગ્રામ દ્વારા પાકિસ્તાન અને અન્ય લાભાર્થી દેશોને F-16 રડાર સિસ્ટમ્સ માટે એન્જિનિયરિંગ અને તકનીકી સહાય પૂરી પાડવામાં આવશે.
એપ્રિલ 2026માં જાહેર કરાયેલા આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનની વૃદ્ધ રડાર સિસ્ટમને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાનો છે, જે આ ફાઇટર એરક્રાફ્ટની ફાયરપાવર અને રિકોનિસન્સ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. રિપોર્ટ અનુસાર, આ અપગ્રેડ કાર્ય પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2036 નક્કી કરવામાં આવી છે.
આ જાહેરાત અત્યંત સંવેદનશીલ સમયે આવી છે. તાજેતરમાં, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું, જે અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ અને તેમના હવાઈ મથકો સહિત લશ્કરી સંપત્તિઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા. આ સૈન્ય કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. રસપ્રદ વાત એ છે કે, આ સંરક્ષણ સોદો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન પશ્ચિમ એશિયા સંકટને સમાપ્ત કરવા માટે શાંતિ વાટાઘાટો માટે ઇસ્લામાબાદમાં યુએસ અને ઈરાન પ્રતિનિધિમંડળની યજમાની કરી રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા કદાચ આ રાજદ્વારી મદદના બદલામાં પાકિસ્તાનને આ સૈન્ય ભેટ આપી રહ્યું છે.
ભારત માટે ચિંતાનો વિષય શા માટે?
ભારતીય વાયુસેના (IAF) હાલમાં એરક્રાફ્ટની અછતનો સામનો કરી રહી છે. હાલમાં ભારત પાસે ફાઈટર એરક્રાફ્ટની માત્ર 29 સ્ક્વોડ્રન બચી છે, જ્યારે ચીન અને પાકિસ્તાન સાથેના ‘બે મોરચાના યુદ્ધ’ની સ્થિતિનો સામનો કરવા માટે ઓછામાં ઓછી 42 સ્ક્વોડ્રનની જરૂર છે. ભારતે હંમેશા દલીલ કરી છે કે પાકિસ્તાનને આપવામાં આવતી અમેરિકી સૈન્ય સહાય અને F-16નો ઉપયોગ આતંકવાદ વિરુદ્ધ નથી, પરંતુ ભારત વિરુદ્ધ છે.

