ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ કોલકાતામાં રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 30 રનથી હરાવ્યું હતું. મેચ માત્ર અઢી દિવસમાં પૂરી થઈ ગઈ હોવાથી ઈડન ગાર્ડન્સની પીચ અને ક્યુરેટરની ભારે ટીકા થઈ હતી. ઘણા ક્રિકેટ નિષ્ણાતો અને દિગ્ગજ ખેલાડીઓએ પીચની ટીકા કરી હતી, પરંતુ ગૌતમ ગંભીરે બધાને ચોંકાવી દીધા હતા અને પીચનું સમર્થન કર્યું હતું.
ગૌતમ ગંભીરે પીચ ક્યુરેટરને ગળે લગાવ્યો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાએ 18 નવેમ્બરે કોલકાતામાં વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનનું આયોજન કર્યું હતું. આ પ્રેક્ટિસ સેશન દરમિયાન જ્યારે કોચ ગૌતમ ગંભીર મેદાન પર આવ્યો ત્યારે તે પિચ ક્યુરેટર સુજન મુખર્જીને ગળે લગાવતો જોવા મળ્યો હતો. અગાઉ ગૌતમ ગંભીર કોલકાતાની પીચ અને ક્યુરેટર મુખર્જીના બચાવમાં આવ્યો હતો અને કહ્યું હતું કે, “અમે એક સમાન પિચ ઇચ્છતા હતા. મને લાગે છે કે ક્યુરેટરે ઘણો સપોર્ટ દર્શાવ્યો હતો, અમે સમાન પિચની સ્થિતિ ઇચ્છતા હતા, પરંતુ જ્યારે અમે સારું રમી શકતા નથી ત્યારે આવા પરિણામો આવે છે.”
આ સિવાય ગંભીરે એમ પણ કહ્યું કે પીચ ગમે તે હોય, 124 રનના લક્ષ્યનો પીછો કરી શકાયો હોત. ગંભીરે ટીમ ઈન્ડિયાની હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે કહ્યું કે બેટ્સમેનો સારા ડિફેન્સ અને ધીરજ સાથે બેટિંગ કરીને રન બનાવી શકે છે. બીજી તરફ પીચને લઈને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ગૌતમ ગંભીરના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ગાવસ્કરે કહ્યું કે પીચમાં વધારે ખામી નહોતી અને 124 રનનો ટાર્ગેટ મેળવી શકાયો હોત. આ લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

