ખેડાના નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશના વિરોધમાં -ચિખલોડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
(પ્રતિનિધિ)નડિઆદ, ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે જ વહીવટી તંત્ર માટે મોટી મુંઝવણ ઉભી થઈ છે. ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ મળી કુલ ચારેય ઉમેદવારોએ એકસાથે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં આ પ્રથમ ઘટના બની છે.
ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી હટાવી નવા બનેલા ફાગવેલ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના સમર્થનમાં ઉમેદવારોએ ચૂંટણીનો બહિષ્કાર કરી મેદાન છોડ્યું છે.
ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ચિખલોડ બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચિખલોડ ગામ અગાઉ કપડવંજ તાલુકાનો ભાગ હતું, પરંતુ નવી સીમાંકન પ્રક્રિયામાં તેનો સમાવેશ ફાગવેલ તાલુકામાં કરવામાં આવ્યો છે.
આ નિર્ણયનો ગ્રામજનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે અને અગાઉ પણ ગામને કપડવંજ તાલુકામાં યથાવત રાખવા માટે ઉપવાસ આંદોલન જેવા આક્રમક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ગ્રામજનોની માંગણી સંતોષવામાં ન આવતા આખરે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.
ચિખલોડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભાવનાબેન મનોહરભાઈ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન સુરેશભાઈ પરમારે પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. આ ઉપરાંત અપક્ષ તરીકે મેદાનમાં ઉતરેલા ઇલાબેન અમૃતભાઈ શર્મા અને વિજયભાઈ શર્માએ પણ ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે આ બેઠક પર એક પણ ઉમેદવાર રહ્યો નથી.
તમામ પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા એકસાથે ફોર્મ પરત ખેંચવાની આ ઘટનાથી જિલ્લા ચૂંટણી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી ચિખલોડને ફરી કપડવંજ તાલુકામાં ભેળવવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ યથાવત રહેશે. બીજી તરફ, એકપણ ઉમેદવાર ન રહેતા હવે આ બેઠક પર આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયા બાબતે વહીવટી તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.

