ભારત લાંબા સમયથી સીમાપાર આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર માને છે, પરંતુ પાકિસ્તાની શાસકો દર વખતે તેનો ઇનકાર કરતા આવ્યા છે. હવે એક આશ્ચર્યજનક કબૂલાતમાં, પાકિસ્તાની નેતા ચૌધરી અનવારુલ હકે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોએ ભારતમાં “લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી” હુમલા કર્યા છે. હક પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) ના ભૂતપૂર્વ વડા પ્રધાન છે. તેમણે પીઓજેકેની વિધાનસભામાં આ નિવેદન આપ્યું છે.
હકની કબૂલાતમાં લાલ કિલ્લાના હુમલાનો ઉલ્લેખ એ વાતનો પુરાવો છે કે 10 નવેમ્બરે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. આ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા. હુમલાનો માસ્ટરમાઇન્ડ, ડૉ ઉમર ઉન નબી, જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા ‘વ્હાઇટ કોલર’ આતંકવાદી મોડ્યુલનો સભ્ય છે, જે હુમલાના થોડા દિવસો પહેલા ફરીદાબાદમાં પર્દાફાશ થયો હતો.
ચૌધરી અનવારુલ હકની ‘કાશ્મીરનું જંગલ’ ટિપ્પણી જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામની બૈસારન ખીણમાં 22 એપ્રિલના આતંકવાદી હુમલા તરફ નિર્દેશ કરે છે, જ્યાં પાકિસ્તાની આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમના પર ગોળીબાર કર્યો. આ ફાયરિંગમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ પછી ભારતે સૈન્ય કાર્યવાહી કરી અને ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો.
પીઓકે વિધાનસભામાં તેમની સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં હાર બાદ અનવારુલ હકે સોમવારે આ નિવેદન આપ્યું હતું. તેમના ભાષણની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્લિપમાં તે કહેતા સાંભળી શકાય છે કે, “જો તમે (ભારત) બલૂચિસ્તાનને લોહીથી ભીંજાવતા રહેશો તો અમે લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી ભારત પર હુમલો કરીશું, અને અમારા શાહીનોએ તે કર્યું છે. તેઓ હજુ પણ મૃતદેહોને ગણી શકતા નથી.”

