ઈરાને અમેરિકા સાથે યુદ્ધ ખતમ કરવાની પહેલ કરી છે. આ માટે તેણે ત્રણ શરતો રાખી છે. આ સાથે હવે બોલ અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કોર્ટમાં ગયો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસેન રઝાઈએ શનિવારે કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થી દ્વારા અમેરિકા સાથે ફરીથી વાતચીત શરૂ કરવાની અને યુદ્ધ સમાપ્ત કરવા માટે તેમની શરતો મોકલવાની પુષ્ટિ કરી. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રઝાઈએ એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમેરિકાએ ટૂંક સમયમાં આ શરતો પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે.
ત્રણ શરતો શું છે
કતાર મારફતે અમેરિકા મોકલવામાં આવેલી ત્રણ મુખ્ય શરતો નીચે મુજબ છે. આ અંતર્ગત તમામ મોરચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને યુદ્ધ પર પૂર્ણ વિરામ. યુ.એસ. દ્વારા જપ્ત કરાયેલી તમામ ઈરાની સંપત્તિઓને પુનઃસ્થાપિત કરવી. આ સિવાય ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીને તાત્કાલિક હટાવવાનો સમાવેશ થાય છે. રઝાઈએ સ્પષ્ટતા કરી કે અમેરિકા અને ઈઝરાયેલના આક્રમક પગલાં ઈરાનને ‘પરમાણુ અપ્રસાર સંધિ’માંથી ખસી જવા માટેનું કારણ આપે છે. જો કે, તેમણે કહ્યું કે ઈરાને હજુ સુધી NPT છોડવાનો અંતિમ નિર્ણય લીધો નથી અને તે સંપૂર્ણપણે અમેરિકાના વર્તન પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે ઈરાન હાલમાં સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેના પરમાણુ સિદ્ધાંત પર પ્રતિબંધ મૂકતા ફતવા પર ઊભું છે, પરંતુ ભવિષ્યની ખાતરી આપી શકાતી નથી.
અમેરિકન રાષ્ટ્રપતિ ખોટા સાબિત થયા
ઈરાનના સુરક્ષા વડાએ કહ્યું કે ઈરાનને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આકલન અને ગણિત સંપૂર્ણપણે ખોટું સાબિત થયું છે. આ યુદ્ધ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઉશ્કેરણી પર શરૂ થયું હતું. તેમણે ચેતવણી આપી હતી કે ટ્રમ્પની ધમકીઓનું કોઈ પરિણામ નહીં આવે અને ઈરાન નિર્ણાયક યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રઝાઈએ એવો પણ દાવો કર્યો હતો કે ઈરાની સશસ્ત્ર દળો અમેરિકી સૈન્યની નબળાઈઓથી સારી રીતે વાકેફ છે અને અમેરિકી હવાઈ હુમલાનો સામનો કરવા માટે અભૂતપૂર્વ રીતે સક્ષમ છે. તેમણે કહ્યું કે અમેરિકા અગાઉના કરારમાંથી ખસી ગયા બાદ તહેરાનને વોશિંગ્ટન પ્રત્યે પોતાની રણનીતિ બદલવાની ફરજ પડી છે. તેમણે એમ પણ કહ્યું કે તાજેતરમાં ઈરાને અમેરિકન એરક્રાફ્ટ કેરિયર પાસે એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને તેની તૈયારી દર્શાવી છે.

