ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ બુધવારે (9 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ યમનના કેટલાક ભાગોમાં 30 થી વધુ હવાઈ હુમલાઓ કર્યા છે. એક દિવસ પહેલા સાઉદી અરેબિયા પર હુથી લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા મોટા હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ઈરાન-અમેરિકા યુદ્ધને રોકવા માટે મધ્યસ્થી કરનાર પાકિસ્તાન હવે આ મોરચે ફસાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે મક્કા એગ્રીમેન્ટ એટલે કે ઈસ્લામિક નાટો આ અંતર્ગત પાકિસ્તાન હવે ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ પર બોમ્બમારો કરવા માટે બેતાબ છે. આ વાતનો સંકેત પાકિસ્તાનના રક્ષા મંત્રીએ આપ્યો છે.
હકીકતમાં, ગયા મહિને 7 ઓગસ્ટના રોજ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર થયા હતા. તેની મુખ્ય શરતો અનુસાર, જો આ ત્રણમાંથી કોઈ એક દેશ પર સૈન્ય હુમલો થશે, તો તે ત્રણેય દેશો પર હુમલો માનવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ મક્કા સમજૂતીના કારણે પાકિસ્તાન હવે ફસાઈ ગયું છે કારણ કે ઈરાન સમર્થિત હુથીઓએ પણ મંગળવારે સાઉદી અરેબિયા પર જોરદાર હુમલો કર્યો હતો. હૌથિઓએ તાજેતરના અઠવાડિયામાં વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયા પર દબાણ વધાર્યું છે. જુલાઇમાં શરૂ થયેલો 2022નો યુદ્ધવિરામ નબળો પડયો ત્યારથી જૂથે વારંવાર સાઉદી ઓઇલ ઇન્સ્ટોલેશન અને ટેન્કરોને નિશાન બનાવ્યા છે.
મક્કા કરાર ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે
દરમિયાન એવી ચર્ચા છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં જ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટને લાગુ કરી શકે છે અને યમન પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે જો સાઉદી ક્ષેત્રમાં યમન સંઘર્ષ ચાલુ રહેશે તો કરારની સામૂહિક સંરક્ષણ કલમ અમલમાં આવી શકે છે. બુધવારે, ‘તુર્કી ટુડે’એ એક સ્ત્રોતને ટાંકીને કહ્યું હતું કે પાકિસ્તાન ટૂંક સમયમાં ઈરાનના પ્રોક્સી હુથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા શરૂ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, આ હુમલાઓની માહિતી ટૂંક સમયમાં જ સાર્વજનિક કરવામાં આવશે.
તેનો ઉદ્દેશ હુથી બળવાખોરોને બહાર કાઢવાનો છે
પાકિસ્તાની સૂત્રએ તુર્કી ટુડેને જણાવ્યું હતું કે, “પાકિસ્તાની આક્રમણની લશ્કરી પ્રાથમિકતાઓમાંની એક સાદાહ અને અન્ય વિસ્તારોમાંથી હુથી બળવાખોરોને બહાર કાઢવાની રહેશે.” ખ્વાજા આસિફની ટિપ્પણીઓ મંગળવારે સાઉદી અરેબિયામાં ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવતા હુથી ડ્રોન અને મિસાઇલ હુમલા પછી આવી છે, જેમાં ઓછામાં ઓછા 73 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે તુર્કિયે સિવાય પાકિસ્તાન અને સાઉદી અરેબિયા પણ મક્કા કરારનો ભાગ છે. ઈસ્લામાબાદ અને રિયાધે મક્કા કરારના સિદ્ધાંતોના આધારે 2025માં વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
