પૌરાણિક યાત્રાધામ અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના વાહનો અને જાહેર વાહનોમાં અંબાજીની યાત્રા કરે છે. ઘણી વખત તેમના વાહનો સ્પીડિંગ અને બેદરકારીના કારણે અકસ્માતનો ભોગ બને છે. યાત્રાધામ અંબાજીમાં ગઈકાલે રાત્રે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
દાંતા રોડ પર યોગેશ્વર સોસાયટીના નાકા પાસે બાઇક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગતરાત્રે બનેલી આ ઘટનામાં બસના ચાલકે ટર્ન લેતા બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ બસ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ બાઇક સવારને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ અંબાજી લઇ જવાયો હતો. જે બાદ ઇજાગ્રસ્ત બાઇક સવારને વધુ સારવાર માટે પાલનપુર લઇ જવાયો હતો. ઈજાગ્રસ્ત અંબાજી બ્રહ્મપુરી વિસ્તારના કનુભાઈ ઠાકોર તરીકે ઓળખાઈ છે. અંબાજીમાં ઝડપભેર અને બેદરકાર વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.