બુધવારે કોલકાતા એરપોર્ટ પર રનવે પર પાર્ક કરેલા એર ઈન્ડિયાના વિમાન સાથે ઈન્ડિગોની ફ્લાઈટ અથડાઈ હતી.
ડીજીસીએએ ઈન્ડિગોના બંને પાઈલટને હટાવ્યા છે.
કોલકાતા, બુધવારે કોલકાતા એરપોર્ટ પર રનવે પર પાર્ક કરેલા એર ઈન્ડિયાના વિમાન સાથે ઈન્ડિગોની ફ્લાઈટ અથડાઈ હતી. આ અથડામણમાં બંને વિમાનોને નુકસાન થયું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટની પાંખનો એક ભાગ તૂટીને પડી ગયો. આ ઘટના ઈન્ડિગોની A320 VT-ISS ફ્લાઈટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ 737 VT-TGG વચ્ચે બની હતી.
એર ઈન્ડિયાનું વિમાન ચેન્નાઈ માટે ટેકઓફ થવાનું હતું અને રનવે પર પહોંચવાની રાહ જોઈ રહ્યું હતું. ત્યારબાદ ઈન્ડિગોની ફ્લાઈટ રનવે પરથી આવીને એર ઈન્ડિયાના પ્લેન સાથે અથડાઈ હતી. જેના કારણે પાંખને નુકસાન થયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ઈન્ડિગોના પાઈલટ અને કો-પાઈલટ બંનેને ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. તપાસ માટે બંને ફ્લાઈટ રોકી દેવામાં આવી છે.
આ ઘટના અંગે ઈન્ડિગો દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો અને અન્ય એરક્રાફ્ટ વચ્ચે નાની અથડામણની જાણ કરવામાં આવી હતી. વિમાનને તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું. આ કારણે કોલકાતા અને દરભંગા વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6152 મોડી પડી છે. પ્રોટોકોલ મુજબ ઘટનાનો રિપોર્ટ DGCAને સુપરત કરવામાં આવશે.