જુનાગઢઃ ગુજરાતના રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક રોકડ પુરસ્કાર એનાયત ક૨વામાં આવ્યા હતા.
કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું હતું કે, દિક્ષાંતનું ખૂબ મહત્વ છે. ડિગ્રી લઈને તમે જ્યારે જઈ રહ્યા છો, ત્યારે સમાજમાં લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા આગળ વધશો તેવી શુભકામના.
કૃષિ યુનિવર્સિટીના છાત્રો સાથે કૃષિની સાંપ્રત સ્થિતિ અને પડકારો અંગે સંવાદ સાધતા રાજ્યપાલએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં કૃષિ જે પરિસ્થિતમાંથી પસાર થઈ રહી છે, તેના પર ચિંતનની આવશ્યકતા છે. ગ્લોબલ વૉર્મિંગ આજે વિશ્વનો સૌથી મોટો પડકાર છે. અને હવે તેણે પોતાનું વિનાશક રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. સમુદ્રી તોફાનો, વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ વગેરે ગ્લોબલ વૉર્મિંગની અસરો અને નુકસાનીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં વૈશ્વિક તાપમાનમાં દોઢ ડિગ્રી વધારો થવાની આગાહી છે, ત્યારે શું મૌસમની લડાઈના આ મારને વર્તમાન કૃષિ સહન કરી શકશે?
આ પરિસ્થિતિ આપણે મનુષ્યોએ જ ઊભી કરી છે, તેમ જણાવતાં રાજ્યપાલએ કહ્યું હતું કે, મનુષ્ય સિવાય કોઈપણ જીવસૃષ્ટિએ પ્રકૃતિને આટલી હાનિ નથી પહોંચાડી. ગ્લોબલ વૉર્મિંગ વધવા પાછળ રાસાયણિક ખેતી 24 ટકા જવાબદાર છે. ઉપરાંત જૈવિક ખેતીના કારણે પણ વાતાવરણમાં મિથેન ગેસ વધવાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે.