ગુજરાતની ખેતીમાં દિનપ્રતિદિન પરિવર્તન આવતુ જાય છે. રાજયના ખેડૂતો નવીન ખેત પધ્ધતિ, નવી જાતો અને નવીન ટેકનોલોજીમાં સતત રસ લેતા થયા છે. જે ગુજરાતના કૃષિકારોની જાગૃતિને પ્રતિબિંબિત કરે છે. આવા ખેડૂતો પૈકી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કોહલી ગામના એક પ્રગતિશિલ આદિવાસી ખેડૂત યશકુમાર ગામીત અને તેજલભાઇ રાકેશભાઇ ચૌધરીએ બાગાયત વિભાગની ૨૦૨૩-૨૪મા છૂટા ફુલોની ખેતીની યોજનાનો લાભ મેળવી, ગુજરાતના રાજ્ય ફુલ ‘ગલગોટા’ના ફુલોની ખેતી કરી છે, અને ફક્ત ૩ થી ૪ મહિનામાં જ તેમની આવક બમણી કરી યુવાઓને પ્રેરિત કરી રહ્યા છે. યશકુમાર ગામીતે જણાવ્યું હતું કે, બાગાયત ખાતાની યોજના તળે ફુલોની આ ખેતી માટે તેમણે અરજી કરી હતી. છેલ્લા ૩ વર્ષથી ફુલોની ખેતી કરતા આ લાભાર્થી એ પહેલા પ્રાયોગિક ધોરણે ૧૦૦૦ જેટલા ગલગોટા વાવ્યા હતા. જેમાં ફાયદો થતા આ વર્ષે ૫૦૦૦ રોપા કર્યા છે. બાગાયત ખાતા તરફથી છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં તેમને ₹ ૧૪ હજારની સહાય મળી છે.
યશકુમારે વધુમાં ઉમેર્યું કે, ૨.૫ વિઘામા હાલ તેમણે ‘ગેંદા ફૂલ’ (ગલગોટા) કર્યા છે. જેમા ખેતી ખર્ચ ₹ ૬૦ થી ૬૫ હજાર થયો છે, અને અત્યાર સુધી તેમાંથી તેમને ₹ ૨ લાખ જેટલી આવક મેળવી પણ લીધી છે. બાગાયત ખાતા તરફથી છુટ્ટા ફુલની ખેતીની યોજનામાં તેમને ₹ ૧૪ હજારની સહાય પ્રાપ્ત થઈ છે. જેના માટે અમે સરકારશ્રી અને બાગાયત વિભાગ તાપીના આભારી છીએ, એમ તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું. આ ખેતીમાં ગણપતિ, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો દરમિયાન ₹ ૨ થી ૩ લાખની આવક થાય છે. આ વર્ષે નવરાત્રીના ૯ દિવસ દરમિયાન જ ૫૦ હજારથી વધારેની આવક થઇ છે. જેથી હુ તમામ ખેડૂતમિત્રોને અનુરોધ કરુ છું કે તમે પણ ફુલોની ખેતી કરો અને પ્રોફિટ મેળવો, એમ તેમણે ઉમેર્યું હતું.
યશકુમારના મિત્ર અને કોહલી ગામના રહેવાસી તેજલભાઇ રાકેશભાઇ ચૌધરીએ પણ બાગાયત ખાતાની છુટ્ટા ફુલોની ખેતી યોજનામાં લાભ લીધો છે. ગલગોટાની ખેતીના ફાયદા અંગે માહિતી આપતા તેજલભાઇએ જણાવ્યું હતું કે, અન્ય પાકો કરતા ગલગોટાની ખેતીમાં ખેતી ખર્ચ ઓછો આવે છે, અને શાકભાજીની જેમ નુકશાનીનો ડર પણ ઓછો રહે છે. વાર તહેવારે ફુલોના ભાવ વધવાથી આવક બમણી થાય છે. તેજલભાઇ વધુમાં ઉમેરે છે કે, મે પાંચ હજાર છોડ વાવ્યા છે. જેમાં દર બીજા દિવસે ફુલપાક તોડવામાં આવે છે. જેમાં અંદાજે ૨૦૦ કિલો જેટલા ફુલો નીકળે છે. કિલોના ઓછામાં ઓછા ₹ ૧૦૦ લઇએ તો પણ એક લણણીમાં ₹ ૨૦ હજાર જેટલી આવક મળી રહે છે. નવરાત્રીની સિઝનમાં ૫૦ હજારનો ખર્ચ કાઢતા પ્રોફિટ ₹ ૧ લાખથી વધુનું મળ્યું છે. બાગાયત ખાતાની છુટ્ટા ફુલોની ખેતી યોજનામાં સહાય મળતા ખેતી ખર્ચમાં પણ રાહત મળી છે.