બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં સરકાર દ્વારા તાલુકાની જનતાને સારવાર મળી રહે તે માટે અહીં વિવિધ તબીબો રાખવામાં આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ હોસ્પિટલ પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો આજે સોમવારે દાંતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સાથે ચેડાં થયાનો આક્ષેપ થયો છે. મોટી સંખ્યામાં લોકો સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી દર્દીઓને પૂરતી સારવાર મળતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. દાંતા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે આજે આજુબાજુના કેટલાક ગામોની મહિલાઓ અને દાંતા ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
લોકો દ્વારા આપવામાં આવેલી દલીલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પણ ગાયનેકોલોજિસ્ટ સર્જન છે અને પોતે ઓપરેશન કરતા નથી. એક સ્ટાફ નર્સ ડિલિવરી સમયે હાજર હોય છે અને ડિલિવરીનું સંચાલન કરે છે. પરંતુ તબીબ હાજર ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. સામાન્ય કેસોમાં પણ તપાસ કરીને અન્ય ખાનગી કે પાલનપુરને રીફર કરવામાં આવતી નથી. દાંતા રેફરલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. રેફરલ હોસ્પિટલના અધિક્ષકને પણ લોકોની તમામ માંગણીઓ પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત એક સપ્તાહમાં સુવિધાઓ નહીં અપાય તો જૂથ આરોગ્ય કેન્દ્ર દાંતાને તાળાબંધી કરવાની પણ લોકોએ ચેતવણી આપી હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટે તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તમામ સુવિધાઓ કાર્યરત છે.