પાટણ શહેરના પંચમુખી હનુમાન મંદિરમાં બ્રહ્માલિન પૂ. નર્મદાગીરીજી મહંત ખાતે ગુરુ ગાદી અને પાદુકાના પૂજન માટે સવારથી જ ભક્તોનો ધસારો રહ્યો હતો. સવારે ભક્તોએ મહંતના ચરણોમાં પૂજન કર્યું હતું. સાંજે મંદિર પરિસરમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદુકા પૂજન બાદ કાલકા મંદિરમાં બ્રહ્મલીન મહંત દેવગીરી બાપુની પ્રતિમાને કુમકુમ તિલક અને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ગુરુપૂર્ણિમા નિમિત્તે પાટણ નજીકના નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને સંતના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. તો શહેરની ગોપાલ શેરીમાં આવેલા અંબાજી માતાજીના મંદિરે જયદેવ પ્રસાદની ગુરુગાદીમાં ભક્તોએ ગોપાલભાઈ મહારાજનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં ગુરુ પૂજનની સાથે ભંડારાનો ભક્તોએ લાભ લીધો હતો. પાટણ નજીક ધારાપુર રોડ પર આવેલ પંચ પીપળવાળી શક્તિ મંદિર સંકુલમાં સોમવારે પરમ પૂજ્ય શંકર ગીરી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનોએ ગુરુપૂર્ણિમાના અવસરે પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવના આતુ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ શહેરના કરંડિયાવીર મંદિરમાં જયદેવ પ્રસાદની ગુરુગાદીનું પૂજન કરાયું હતું. ગોપાલભાઈ મહારાજના ભક્ત પાટણ ધારા સભ્ય કિરીટ પટેલે ગુરુ વંદના કરી હતી.