અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો બહારનું ફાસ્ટ ફૂડ અને તળેલું મસાલેદાર ખાવાનું પસંદ કરે છે. ફૂડ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આવા ખોરાકના સેવનથી ગંભીર બીમારી થઈ શકે છે. રાજકોટ ફૂડ શાખા દ્વારા આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા કુલ 18 ધંધાર્થીઓ પર દરોડા પાડી તપાસ કરવામાં આવી હતી.
રાજકોટમાં વન વીક વન રોડ અભિયાન અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગની ટીમ દ્વારા શહેરના કોઠારીયા મેઈન રોડથી રણુજા મંદિર અને આજીડેમ વિસ્તારમાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા કુલ 18 ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. સ્વચ્છતા જાળવવા અંગે સૂચના આપવામાં આવી હતી. અને સ્થળ ઉપર કુલ 07 કિ.ગ્રા. અખાદ્ય વાસી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે ખાદ્ય ચીજવસ્તુઓના કુલ 9 સેમ્પલનું સ્થળ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.