ગુજરાતની ધરતીને ગુણવત્તાયુક્ત અને પ્રદુષણમુક્ત રાખવા માટે રાજ્ય સરકારે હાથ ધરી અનેક નવતર પહેલો
પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ અને નેનો યુરીયા સહિતની પહેલોના પરિણામે જમીનની ગુણવત્તામાં સુધારો આવશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
(જી.એન.એસ),તા.૦૪
સોઇલ એટલે કે જમીન સાથે અન્ન, પાણી અને હવા સહિતની અનેક બાબતો જોડાયેલી હોવાથી તેની ગુણવત્તા સદીઓ સુધી જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. લોકોને જમીનના મહત્વ અને તેની ગુણવત્તા વિશે જાગૃત કરવા દર વર્ષે 5મી ડિસેમ્બરે “વર્લ્ડ સોઇલ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે “જમીન અને પાણી : જીવનનો સ્ત્રોત” થીમ પર વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવી રહ્યો છે.
હવે પ્રશ્ન એ થાય છે કે જમીન બચાવવાની જરૂર કેમ છે? વાસ્તવમાં, પ્રદૂષણ અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને પરિણામે જમીનની ગુણવત્તામાં ઘટાડો આવે છે, જે એક ગંભીર સમસ્યા છે. જમીનની ઘટતી ગુણવત્તાને કારણે જૈવિક પદાર્થોની ખોટ થાય છે અને જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં લોકોને આ અંગે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે.
જમીનની ગુણવત્તા જાળવવા ગુજરાત સરકારના પ્રયાસો-
ગુજરાતની ધરતીને ગુણવત્તાયુક્ત અને પ્રદુષણ મુક્ત રાખવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર પહેલ અને પગલાઓ લેવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેતી લાયક જમીનનું સ્વાથ્ય જળવાઇ રહે અને ખેડૂત મિત્રો ટકાઉ ખેતી કરી શકે તે માટે કૃષિ વિભાગે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
મંત્રી શ્રી પટેલે કહ્યું કે, જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોનો અયોગ્ય અને અપ્રમાણસરનો ઉપયોગ જમીનને મહદઅંશે નુકશાન પહોંચાડે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, અને ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સરળતાથી અપનાવી શકે તે માટે તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખૂબ જ વેગ આપી રહ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આકર્ષાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય પણ આપવામાં આવે છે. ગાય આધારિત ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ગાયનો નિભાવ ખર્ચ અને જીવામૃત-ઘનજીવામૃત બનાવવા માટે કીટ પણ આપવામાં આવે છે.