વિસનગર શહેરના દેનપ ચોકથી શ્રીહરિ એપાર્ટમેન્ટ તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેમાં રોડ પર કાંકરી પડી જતા વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. આ રોડ પર અનેક કારખાનાઓ અને રહેણાંક વિસ્તારો હોવાના કારણે વાહનચાલકોને શહેરમાં અવર-જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં અનેક વખત જાણ કરવા છતાં તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી નથી. જેથી વહેલી તકે રોડનું કામ કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.
વિસનગરના દેણપ ચોકથી શ્રીહરિ એપાર્ટમેન્ટ તરફ જતા રોડની હાલત અત્યંત બિસ્માર બની છે. કમોસમી વરસાદના કારણે રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેમાં ખરાબ પાણી પણ ભરાઈ રહ્યા છે અને કાંકરી ઉખડી જવાના કારણે ધૂળ ઉડી રહી છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં દેણપ સુધી રોડનું કામ થયું છે, પરંતુ આ ભાગ સિવાય ભેદભાવની નીતિ અપનાવવામાં આવી હોવાનું જોવા મળે છે. રોડ પર ઘણા સમયથી મસમોટા ખાડા પડી ગયા છે છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો રોજેરોજ પરેશાન થઇ રહ્યા છે જેના કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાડાઓની સાથે સાથે ગંદકી પણ અવારનવાર રોડ પર જોવા મળે છે. જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત પણ ફેલાઇ છે. જેમાં સ્થાનિક લોકો અને ભાજપના આગેવાનો દ્વારા જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ મરામતની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આથી વહેલી તકે આ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.