પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં પોલીસ લાઈન્સ વિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ છે. જિલ્લા મુખ્યાલય હોસ્પિટલના ડૉક્ટર તાહિર અલી શાહે જણાવ્યું કે વિસ્ફોટ બાદ 16 મૃતદેહો અને 50થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ મસ્જિદની બહાર થયો હતો, જેના કારણે ત્યાં એક મોટો ખાડો પડી ગયો હતો. ઘાયલોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. વિસ્ફોટ બાદ પોલીસ લાઈન્સમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટના બાદ પ્રશાસને કોહાટ-હંગુ રોડને તમામ પ્રકારના ટ્રાફિક માટે બંધ કરી દીધો છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ કોહાટની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ પ્રશાસને ઈમરજન્સી જાહેર કરી હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ બાદમાં જણાવ્યું કે વિસ્ફોટમાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 25 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
વિસ્ફોટકોથી ભરેલું વાહન પોલીસ લાઇન્સના ગેટ સાથે અથડાયું હતું.
ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક જુલ્ફીકાર હમીદે જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલું વાહન જૂની પોલીસ લાઈન્સના ગેટ સાથે અથડાયું અને તે પછી જોરદાર વિસ્ફોટ થયો. તેમણે કહ્યું કે વાહન ગેટ સાથે અથડાયા પછી વિસ્ફોટ થયો અને ફાયરિંગ પણ શરૂ થઈ ગયું. આઈજીપીના જણાવ્યા અનુસાર આ એક આત્મઘાતી હુમલો હતો. ફાયરિંગ દરમિયાન સ્પેશિયલ બ્રાન્ચ બિલ્ડિંગમાં બીજો આત્મઘાતી બ્લાસ્ટ પણ થયો હતો. ખૈબર પખ્તુનખ્વા પોલીસ આતંકવાદ સામે લોખંડની દિવાલની જેમ ઉભી છે અને આવા હુમલાઓ પોલીસકર્મીઓનું મનોબળ તોડી શકતા નથી. તેમણે કહ્યું કે શહીદોનું લોહી વ્યર્થ નહીં જાય અને આતંકવાદીઓ અને તેમના મદદગારોને પરિણામ ભોગવવા પડશે.

